અમદાવાદ : શહેરના શાહપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાનાં પાણીમાં ગટરનાં પાણી ભળી જવાની અને ગટર લાઇનો બેક મારવાની સમસ્યા વકરતાં અકળાયેલાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તેમના મતવિસ્તારની ચોક્કસ જગ્યાઓમાં પ્રાથમિક સુવિધા માટેની ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવામાં રાજકીય કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે,શાહપુર વિસ્તારમાં ભગુભાઇની ચાલી,નકળંગપુરા,આલમપુરા,કમુમિયાની ચાલી,રામલાલનો ખાડો,શંકરભૂવનના છાપરાં સહિતની જગ્યાઓએ પ્રદૂષિત પાણી અને ગટર લાઇનો ઉભરાતી હોવાની સમસ્યાઓનાં નિકાલ માટે ધારાસભ્ય તરીકે તેમણે શાહપુર વોર્ડને દત્તક લઇ સાડા ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી.પરંતુ આ વિસ્તારનાં નાગરિકો હેરાન થાય અને કોંગ્રેસથી મોઢું ફેરવી લે તેવા કારસા રાજકીય ઇશારે થઇ રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં કોંગી ધારાસભ્યે કહ્યું કે,છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં પીવાનાં પાણીમાં પોલ્યુશન આવે છે અને ગટર લાઇનો ઉભરાઇ રહી છે.તેમ છતાં કોઇ જ કાર્યવાહી થઇ રહી નથી.
કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્યું હતું કે,ધારાસભ્ય તરીકે ફાળવેલી ગ્રાન્ટમાંથી શાહપુર-દૂધેશ્વર સહિતનાં વિસ્તારોમાં પાણી,ગટરની લાઇનો અપગ્રેડ કરવા તેમજ રોડનાં કામો કરવા માટે કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે,ભાજપનાં શાસનમાં ફક્ત પશ્ચિમ અમદાવાદનાં જુદા જુદા વિસ્તારોમાં ફ્લાયઓવર,મોડલ રોડ,જીમ-લાઈબ્રેરી,હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યારે નદી પારનાં શાહપુર-દૂધેશ્વર જેવા વિસ્તારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.


