નવી દિલ્હી : કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે.આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશના વરીષ્ઠ મંત્રીએ કહ્યું હતું કે ભગવાનને કારણે જ ભારત વિશ્વમાં પાવરહાઉસ બની શક્યું છે.અને આ ભગવાન ભારતની ઓળખ પણ છે.જો કોઇ પણ વ્યક્તિ આ ભગવાન સાથે જોડાયેલા સ્થળની સુંદરતા વધારવા માગતું હોય તો કોઇને પણ તેને લઇને વાંધો ન જ હોઇ શકે.જ્યારે કર્ણાટકના એક મંત્રીએ પણ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે સંઘનો ઝંડો દેશનો રાષ્ટ્રધ્વજ બનશે.
ઉત્તર પ્રદેશના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે,મથુરા ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે.અને એવી જ રીતે વારાણસી એટલે કે કાશીની રચના પણ ભગવાન શીવ દ્વારા કરવામાં આવી છે.આ ભગવાનોને કારણે જ ભારતની એક ઓળખ છે.અને તેમને કારણે જ ભારત આજે એક વૈશ્વિક પાવરહાઉસ બની શક્યું છે.આજે સમગ્ર વિશ્વ ગીતાનું પઠન કરી રહ્યું છે.જેમાં અર્જુનને કૃષ્ણ દ્વારા જે બોધપાઠ આપવામાં આવ્યો તેને લોકો વાંચે છે.સમગ્ર વિશ્વને ભગવાન રામમાંથી એક આદર્શ પુત્ર,એક આદર્શ પતિ,એક આદર્શ ભાઇ,એક આદર્શ મિત્રનો સંદેશો મળે છે.કર્ણાટકના એક પૂર્વ મંત્રીએ વિવાદિત નિવેદન આપ્યું હતું.ભાજપના વર્તમાન ધારાસભ્ય અને કર્ણાટકના પૂર્વ મંત્રી ઇશ્વરપ્પાએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘનો ઝંડો એક દિવસ રાષ્ટ્રીય ધ્વજ બનીને રહેશે. કેસરિયો ઝંડો બલિદાનનું પ્રતીક છે.જેનું સન્માન આજ કે કાલથી શરૂ નથી થયું,પણ હજારો વર્ષોથી થતુ આવ્યું છે.ઇશ્વરપ્પાએ સાથે જ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પણ વખાણ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે તિરંગો આપણા બંધારણ મુજબ રાષ્ટ્રીય ધ્વજ છે,અને આપણે તેને એ સન્માન આપીએ છીએ કે જેનો તે હકદાર છે.આ બન્ને નેતાઓના નિવેદનોની સોશિયલ મીડિયા પર ટીકા થઇ રહી છે.