સુરત : મગદલ્લા પોર્ટથી કોલસો ભરી મહારાષ્ટ્રના ચાલીસગાંવ જવા નીકળેલા ઇચ્છાપોરના આશાપુરા ટ્રાન્સપોર્ટના ડમ્પરના ડ્રાઇવરની ભેદી સંજોગોમાં સચિન-પલસાણા હાઇવે પર આલ્ફા હોટલ નજીક સચિન ઉદ્યોગનગર સહકારી સંઘના ગેટ પાસેથી હત્યા થયેલી લાશ મળી આવતા સચિન પોલીસ દોડતી થઇ ગઇ છે.બીજી તરફ ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ હોવા છતા ટ્રાન્સપોર્ટરને જાણ સુધ્ધા નહીં થતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે.
સુરત-હજીરા રોડ ઇચ્છાપોર સ્થિત ઓએનજીસી સર્કલ સ્થિત સ્વાગત બિઝનેશ હબમાં આવેલા આશાપુરા ટ્રાન્સપોર્ટના ડમ્પર નં.જીજે- 16 એવી-7466,જીજે-16 એવી-7253,જીજે-16 એવી-7260 અને જીજે-16 એવી-7356 ના ચાલક મગદલ્લા પોર્ટથી કોલસો ભરી મહારાષ્ટ્રના ચાલીસગાંવ જવા નીકળ્યા હતા.જે પૈકી ત્રણ ડમ્પર મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા હતા.જયારે ડમ્પર નં.જીજે-16 એવી-7466 નો ડ્રાઇવર અનિલકુમાર રામસજીવન(ઉ.વ.37 હાલ રહે.ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નં.3 પાસે,હજીરા રોડ અને મૂળ.બદલાપુર,તા.થોટરા,જિ.ફતેહપુર,યુ.પી)ભેદી સંજોગોમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં સચિન-પલસાણા હાઇવે પર આલ્ફા હોટલ નજીક સચિન ઉદ્યોગનગર સહકારી સંઘના ગેટ પાસેથી માથામાં ઇજાગ્રસ્ત મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા તુરંત જ સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.આર.દેસાઇ સ્ટાફ સાથે ઘસી ગયા હતા. પોલીસે અનિલનો મૃતદેહ કબ્જે લઇ પોસ્ટમોર્ટમ કરાવતા તેના મોંઢા અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચારથી પાંચ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ડમ્પરમાં જીપીએસ સિસ્ટમ છે.આ સિસ્ટમ થકી ચાલક કયાં જઇ રહ્યો છે તેનું ટ્રાન્સપોર્ટર મોનીટરીંગ કરે છે.ગત રાતે 11 વાગ્યે અન્ય ડમ્પર મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા.જયારે અનિલનું ડમ્પર આલ્ફા હોટલ પર પાર્ક હોવા છતા ટ્રાન્સપોર્ટરને જાણ સુધ્ધા થઇ ન હતી.