– વર્ષોથી ભાજપની વોટબેન્ક ગણતા આહીર સમાજમાં આપે ગાબડું પાડ્યું
સુરત : વિધાનસભાની ચૂંટણીને આડે હજુ ઘણો સમય બાકી છે,ત્યારે અત્યારથી જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે.સુરતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી હોય તેમ ભાજપના કાર્યકરો અને નેતાઓ આપનું ઝાડું પકડી રહ્યાં છે ત્યારે સુરત આહીર સમાજના મંત્રી તેમના 200 સમર્થકો સાથે ભાજપનો કેસરીયો ખેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.જેથી આવનારા દિવસોમાં ભાજપના મજબૂત ગણાતા આહીર સમાજમાં પણ આપ દ્વારા ગાબડું પાડવામાં આવ્યું છે.
સુરત આહીર સમાજના મંત્રી અને વર્ષોથી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મથુરભાઈ બલદાણીયા સુરતથી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સાથે જંગી કાફલા સાથે જોડાતા રાજકીય ભૂકંપ આહીર સમાજની વોટબેન્કમાં થવાના એંધાણ સર્જાયા છે.સામાજિક રીતે સર્વ સમાજ સાથે અને મધ્યમ અને ગરીબ લોકોને આરોગ્ય,શૈક્ષણિક,સેવાકીય પ્રવૃત્તિ સાથે વર્ષોથી સુરતમાં સર્વ સમાજ સાથે જોડાઈને કામ કર્યું છે તેઓએ આજ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સહમત થયા હોવાથી આપમાં જોડાયા હોવાનું કહ્યું હતું.
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા,આપ નેતા ઈશુદાનભાઈ,મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને સુરત શહેર ની આપની આખી ટિમની હાજરીમાં 200 થી 250 જેટલી કાર સાથે 1500 જેટલા સમર્થકો સાથે પાર્ટીમાં જોડાઈને રાજકીય ગરમાટ ઉભો કર્યો છે.આહીર સમાજ,સાથે બક્ષીપંચ સમાજ અને પટેલ સમાજના 200 જેટલા કાર્યકરોએ વિધિવત આમ આદમીનો ખેસ ધારણ કર્યો છે.મથુરભાઈ બલદાણીયાએ કહ્યું કે,ઈમાનદાર નેતા તરીકે ઈમાનદાર પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને સાચા અર્થના લોક સેવકનું મન બનાવ્યું છે તે આવનારા સમય માટે જનતા માટે ખૂબ સરાહનીય સાબિત થશે.


