– સામાન્ય પેશન્ટની સારવાર ટ્રોમા સેન્ટરમાં થતી હોવા છતાં ગેટ બંધ કરાતા હાલાકી વધી
સુરત : કોરોનાના કહેર વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલે સામાન્ય બીમાર દર્દીઓ માટે સંપૂર્ણ બંધ રખાય હોવાના સંકેત આપતા ચર્ચાનો વિષય બન્યો છે. ચીફ સિક્યુરિટી ગાંધીએ આજે હોસ્પિટલના મેઈન ગેટને બંધ કરાવી દેતા દર્દીના સગાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે.રીંગ રોડના મુખ્ય ગેટને બંધ કરી હોસ્પિટલ મેનેજમેન્ટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.સિક્યુરિટીએ કહ્યું કે,RMOના મૌખિક આદેશથી આ ગેટ બંધ કરાયો છે.બીજી તરફનો ગેટ ચાલુ છે.
સિવિલ હોસ્પિટલના બર્ધર્સએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, છેલ્લા 60 દિવસથી કોરોનાની માહામારીમાં સપડાયેલા દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ઉભરાય રહી છે.સામાન્ય બીમારીના દર્દીઓને સારવાર વગર માત્ર દવા લઈ પરત ફરવાનો વારો આવ્યો છે.જો આજની વાત કરીએ તો સિવિલ કેમ્પસની જૂની બિલ્ડીગમાં 1150ની કેપિસિટી સામે 249 કોરોના પોઝિટિવ અને 79 સામાન્ય બીમારીઓના દર્દીઓ દાખલ છે.સ્ટેમસેલ હોસ્પિટલની વાત કરીએ તો 1000ની કેપિસિટી સામે 578 કોરોના પોઝિટિવ દર્દીઓ દાખલ છે અને કિડની હોસ્પિટલ ની વાત કરીએ તો 400 ની કેપિસિટી સામે 207 પોઝિટિવ દર્દીઓ દાખલ છે.એટલે હાલ સિવિલ કેમ્પસની ત્રણ બિલ્ડીંગમાં 1105 દર્દીઓ દાખલ હોય અને 1400 જેટલા બેડ ખાલી હોવા છતાં ગેટ બંધ કરી દર્દીઓને ભગાડવાનું કાવતરુ રચાય રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ચીફ સિક્યુરિટી ઓફિસર ગાંધીએ જણાવ્યું હતું કે, મને RMOએ મૌખિક આદેશ આપ્યા બાદ મેં મેઈન ગેટ બંધ કરાવ્યા છે અને પોસ્ટ મોર્ટમ રૂમ બાજુના ફેટ ખુલ્લા રખાયા છે.જ્યાંથી તમામએ અવર જવર કરવાની રહેશે.જોકે ગેટ બંધ કરાવવાના કોઈ કારણ મને ખબર ન હોવાનું જણાવ્યું હતું.
ડો. ધારિત્રી પરમારે (એડી. સુપ્રિટેન્ડેન્ટ નવી સિવિલ હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે પરંતુ ઓક્સીજનના સીમિત પુરવઠા અને વેન્ટીલેટરના અભાવે નવા દર્દીઓની સારવાર અશક્ય હોવાને કારણે હંગામી ધોરણે સિવિલમાં નવા દર્દીઓને દાખલ કરવા પર બ્રેક મારવામાં આવી છે.વહેલી તકે વેન્ટીલેટર અને ઓક્સીજનની વ્યવસ્થા રાબેતા મુજબ થયેથી સિવિલમાં નવા દર્દીઓને પુનઃ દાખલ કરવામાં આવશે.