2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસઃ અરવિંદ ડી સિલ્વાની નવ વર્ષ બાદ પૂછપરછ

HM News
3 Min Read

– શ્રીલંકા પોલીસે પૂર્વ મુખ્ય સીલેક્ટરને છ કલાક સવાલ પૂછ્યા

કોલંબો : શ્રીલંકા પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે 2011 વર્લ્ડ કપની ફાઈનલ ફિક્સ થઈ હોવાના કેસમાં તપાસ હાથ ધરી છે.મંગળવારે શ્રીલંકા પોલીસે પૂર્વ કેપ્ટન અને 2011ના મુખ્ય પસંદગીકાર રહેલા અરવિંદ ડી સિલ્વાની છ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ તપાસમાં હવે પછી 2011 વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકન ટીમના ઓપનર ઉપુલ થરંગાને હાજર રહેવા જણાવાયું છે. 2011 વર્લ્ડ કપ ફાઈનલ ફિક્સિંગ કેસમાં નવ વર્ષ બાદ ડી સિલ્વાને પોલીસે સવાલ જવાબ માટે બોલાવ્યા હતા. આઈસીસી વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાના પૂર્વ રમત મંત્રી મહિંદાનંદ અલ્થગામાગેએ આ મેચને ફિક્સ હોવાનું જણાવતા તપાસની માંગ કરી હતી. પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પણ આ તરફ સવાલો ઉઠાવી ચૂક્યા છે.

તાજેતરમાં જ મહિંદાનંદે શ્રીલંકન ક્રિકેટ બોર્ડને એક યાદી સોંપી હતી. જેમાં તેમણે વર્લ્ડ કપની ફાઈનલ ફિક્સ હોવાની આંશકા પાછળ જવાબદાર કારણો જણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘નવ પાનામાં 24 કારણો આપ્યા છે. આ કારણોથી ફાઈનલમાં શ્રીલંકન ટીમનો પરાજય થયો.’

સંગાકારા અને જયવર્ધનેએ આરોપોને નકાર્યા

વર્લ્ડ કપમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને સહિતના શ્રીલંકાના પૂર્વ ખલેડીઓ સ્પોર્ટ્સ મિનિસ્ટરના આક્ષેપોને નકારી ચૂક્યા છે.શ્રીલંકા સરકાર હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.તત્કાલિન મુખ્ય પસંદગીકાર અરવિંદ ડી સિલ્વાની પૂછપરછ મંગળવારે થઈ છે.એવુ માનવામાં આવે છે કે આ કેસમાં 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચેલી શ્રીલંકન ટીમને કેપ્ટન કુમાર સંગાકારાને પણ પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ 1996માં વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ફાઈનલમાં ડી સિલ્વાએ 124 બોલમાં 107 રનની ઈનિંગ રમતા તેમને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયા હતા. 1996ની ફાઈનલમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું હતું. સનથ જયસૂર્યા મેન ઓફ ધ સીરિઝ જાહેર થયા હતા.શ્રીલંકાના રમત મંત્રીના આક્ષેપો બાદ ડી સિલ્વાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને પણ ફિક્સિંગની તપાસ કરવા અપીલ કરી હતી.ડી સિલ્વાએ જણાવ્યું હતું કે બીસીસીઆઈની તપાસમાં મારી જરૂર પડશે તો હું ભારત આવવા તૈયાર છું.

ભારત 28 વર્ષ બાદ ફરી વિશ્વ ચેમ્પિયન બન્યું

2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાને 6 વિકેટે હરાવીને 28 વર્ષ બાદ ફરી વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા 6 વિકેટ ગુમાવીને 274 રન કર્યા હતા.મહેલા જયવર્ધનેએ 103, કુમાર સંગાકારાએ 30 અને કુલશેખરાએ 40 રન કર્યા હતા.

ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત કંગાળ રહી હતી.લસિથ મલિંગાએ સચિન અને સહેવાગની વિકેટ ઝડપી હતી.ત્યારબાદ ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોનીએ પરિસ્થિતિ સંભાળી હતી.ગંભીર 97 રને આઉટ થઈ ગયો હતો જો કે ભારત જીતની નજીક પહોંચી ગયું હતું.ધોનીએ કુલશેખરાના બોલ પર વિજયી છગ્ગો ફટકારીને ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *