મુંબઇ : કોરોનાની સંભવિત ચોથી લહેરના ઝળુંબતા જોખમનો સામનો કરવા માટે મુંબઇ મહાપાલિકાએ ત્રણ જમ્બો કોવિડ સેન્ટર સજ્જ કરી દીધા છે.આમાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ,મલાડ અને વરલીના એનએસસીઆઇના જમ્બો કોવિડ સેન્ટરનો સમાવેશ થાય છે.આ સેન્ટરોમાં ઓક્સિજન અને તબીબી સાધન-સામગ્રી તેમ જ પૂરતા કર્મચારીઓની જોગવાઇ કરવાનો મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે આદેશ આપ્યો છે.આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઇમાં કોરોનાના સક્રિય દરદીઓની સંખ્યા ૧૦ હજારને પાર થઇ ગઇ છે.અને નવા દરદીઓનો આંકડો બે હજારને આંબી ગયો છે.આ બાબત ધ્યાનમાં લઇ ત્રણ જમ્બો સેન્ટર તૈયાર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.મુંબઇમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયા પછી અનેક જમ્બો સેન્ટરો બંધ કરવામાં આવ્યાહતા.જોકે બીકેસી,મલાડ અને સેવન હિલ્સના કેન્દ્રો ચાલુ છે.એટલે અત્યારની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ ત્રણ જમ્બો સેન્ટરો સજ્જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.