મુંબઇ : રત્નાગિરીના લાંજા તાલુકામાં બનેલી એક ઘટનામાં એક મરાઠી સિરીયલમાં દર્શાવેલ ગળાફાંસો ખાવાનું દ્રશ્ય જોઇ એક ૭ વર્ષની બાળકીએ તેનું અનુકરણ કર્યું હતું જેમાં તેણે જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની હતી.આ ઘટના શનિવારે કોર્લે-સહકારવાડી વિસ્તારમાં બની હતી.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.આ સંદર્ભે વધુ વિગતાનુસાર રાજેશ સુરેશ ચવ્હાણ (૩૮)ની પહેલી પત્નીને બે પુત્રી છે.જે તેની માતા સાથે ફલટણ તાલુકામાં રહે છે.તેની બીજી પત્ની મોસાળમાં ગઇ હોવાથી પહેલી પત્નીની બંને પુત્રીઓ પિતા સાથે રહેવા આવી હતી.આ બંને પુત્રીઓ મરાઠીમાં આવતી ‘નાગીન’નામની સિરીયલ રેગ્યુલર જુએ છે.આ સિરીયલના એક દ્રશ્યમાં એક નાની બાળકીનું મૃત્યુ ગળાફાંસાથી થતું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.ત્યારબાદ આર્યા નામની આ બાળાએ તેની મોટીબહેનને સાચે જ ગળાફાંસો ખાવાથી મૃત્યુ થાય છે.તેવો પ્રશ્ન પણ પૂછયો હતો.આ સમયે મોટી બહેને ફક્ત હામાં જવાબ આપ્યો હતો.
આ ઘટના બાદ બંને બાળાઓ રમવા ચાલી ગઇ હતી પણ પછી જ્યારે તેની મોટી બહેન તેની દાદીની મળવા તેમના ઘરે ગઇ ત્યારે નાની આર્યાને સાડીથી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતા તે ગભરાઇ ગઇ હતી.તેણે તરત જ તેની દાદી અને અન્ય મહિલાઓને આ વાતની જાણ કરતા આર્યાને નીચે ઉતારી લાંજા ગ્રામિણ હોસ્પિટલમાં લઇ જઇ ડોક્ટરને દેખાડવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.હાલ તો પોલીસે આ પ્રકરણે પંચનામું કરી લોકોના નિવેદન લેવાનું શરૃ કર્યું છે.આ પ્રકરણે વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.