દુબઈ : વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખાશોગીના પુત્રોએ શુક્રવારે જાહેરાત કરી છે કે,તેમણે તેમના પિતાના હત્યારાઓને માફ કરી દીધા છે જેનાથી સાઉદીના પાંચ સરકારી એજન્ટોની મોતની સજા પર રોક લાગી ગઈ છે.સલાહ ખાશોગીએ ટ્વીટ કર્યું કે,અમે શહીદ જમાલ ખાશોગીના પુત્રો અમારા પિતાની હત્યા કરનારા આરોપીઓને માફ કરીએ છીએ.જેનું ફળ અમને અલ્લાહ આપશે.
સલાહ ખાશોગી સાઉદી અરબમાં જ રહે છે અને તેમને પિતાની હત્યા બાબતે તેમને શાહી કોર્ટમાંથી નાણાંકીય વળતર પણ મળ્યું છે.અરબ ન્યૂઝે ખાશોગીના પુત્રોની જાહેરાત પર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે,તેમના માફ કરવાથી આરોપી મોતની સજાથી તો બચી જશે પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને કોઈ સજા નહીં મળે.જો કે જમાલ ખાશોગીની મંગેતરે સલાહ ખાશોગીની નિવેદન બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે,જમાલ ખાશોગીના આરોપીઓને માફ કરવાનો અધિકાર કોઈને નથી.ઈસ્તાંબુલના સાઉદી દૂતાવાસમાં જમાલ ખાશોગીની હત્યા કરવામાં આવી હતી.ખાશોગીની હત્યાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી હતી અને આ મામલે સાઉદી પ્રિન્સની ભૂમિકને લઈને પણ સવાલ ઉભા થયા હતા.જમાલ ખાશોગીના 11 આરોપીઓમાંથી પાંચને મોતની સજા ફટકારવામાં આવી હતી.ત્રણને કુલ 24 વર્ષની સજા ફટકારવામાં આવી હતી જ્યારે અન્ય લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા.


