ખાતામાં મિનિમમ બેલેન્સ નહી જાળવતા ગ્રાહકો પાસેથી બેંકોએ રૂ.૧૦,૦૦૦ કરોડ ખંખેરી લીધા

237

મુંબઇ,તા. ૩: દેશની જાહેર ક્ષેત્રની ૧૮ અને ચાર ખાનગી બેંકોએ મળીને છેલ્લા ૩ વર્ષમાં ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ જાળવી નહી રાખવા બદલ રૂ.૧૦,૦૦૦ કરોડની વસુલાત કરી છે.

બેંક ઓફ બરોડાએ ૧લી નવેમ્બરથી નવા નિયમો લાગુ કર્યા છે જે મુજબ હવે તમારે તમારા એકાઉન્ટમાં પૈસા ઉપાડવા અને જમા કરવા માટે પણ રૂ. ૫૦ થી રૂ. ૧૨૫ સુધીનો ચાર્જ આપવો પડશે. ભારતમાં હવે લગભગ દરેક પ્રકારની બેંકિંગ સેવાઓ માટે રૂપિયા ચુકવવા પડશે. જે સેવાઓ અત્યાર સુધી નિઃશુલ્ક હતી તે સેવાઓનો પણ ચાર્જ વસૂલીને બેંકો હવે ગ્રાહકોને લૂંટી રહી છે.

ગ્રાહકોએ નવુ એકાઉન્ટ ખોલાવવુ હોય, નવી ચેક બુક જરૂરી હોય,પાસબુકમાં એડ્રેસ બદલવુ હોય,એસએમએસ સેવા મેળવવી હોય,વર્ષમા ત્રણ વખતથી વધુ વખત જો લોકર ઓપરેટ કરવામાં આવે, મહિનામાં ત્રણ વખતથી વધુ વખત એટીએમનો ઉપયોગ કરવામાં આવે અને જો મિનિમમ બેલેન્સ જાળવી રાખ્યુ ના હોય તો આ તમામ કિસ્સામાં બેંક ગ્રાહકો પાસેથી તગડા ચાર્જ વસુલ કરે છે.
મળતી વિગતો અનુસાર દેશની જાહેર ક્ષેત્રની ૧૮ અને ખાનગી ચાર બેંકોએ મળીને પાછલા ત્રણ વર્ષમાં ખાતામાં મિનિમમ બેલેન્સ નહી રાખવા બદલ ગ્રાહકો પાસેથી રૂ.૧૦,૦૦૦ કરોડનો દંડ વસૂલ કર્યો છે.મોટાભાગની બેંકો હવે મિનિમમ બેલેન્સ જાળવી નહી રાખવા બદલ ગ્રાહકો પાસેથી દંડ વસૂલ કરી રહી છે.આ માટે દરેક બેંકોના નિયમો અલગ છે.ગ્રામ્ય વિસ્તારોની બ્રાંચમાં રૂ.૫૦૦થી લઇને મેટ્રો સિટીમાં રૂ.૨૫,૦૦૦ સુધી મિનિમમ બેલેન્સના નિયમો છે અને જે જાળવી નહી રાખવા બદલ મહિને રૂ.૫૦થી લઇને પાંચ હજાર સુધી દંડ વસૂલવામાં આવે છે.

બેંકોના પગલે હવે પોસ્ટના સેવિંગ એકાઉન્ટમા પણ મિનિમમ બેલેન્સ રાખવુ પડશે મિનિમમ ૫૦૦ રૂપિયા બેલેન્સ નહી હોય તો વાર્ષિક રૂ.૧૦૦નો ચાર્જ વસૂલ કરાશે

ડિજિટલ યુગમાં પોસ્ટલ સેવાઓની માગ નહિવત થતાં દેશભરમાં પોસ્ટ ઓફિસો હવે ખોટનો ધંધો કરી રહી છે. આવા સંજોગોમાં પોસ્ટ વિભાગને પુનઃ જીવીત કરવા માટે સરકારે પોસ્ટમાં બેંકિંગ સેવાઓનો પ્રારંભ કર્યો છે.હવે બેંકોના પગલે પગલે પોસ્ટ વિભાગ પણ પોતાની બેકિંગ સેવાઓ માટે ચાર્જ વસૂલવાનો પ્રારંભ કર્યો છે.

પોસ્ટલ વિભાગે પોસ્ટ ઓફિસોમાં બચત બેંક ખાતુ ધરાવતા ગ્રાહકો માટે સૂચના જાહેર કરી છે કે દરેક ખાતેદારોએ હવેથી ખાતામાં ઓછામાં ઓછુ ૫૦૦ રૂપિયા બેલેન્સ રાખવુ પડશે. જો આવુ કરવામાં નહી આવે તો વર્ષિક રૂ.૧૦૦ ફી તરીકે કપાશે અને જયારે ખાતામાં ઝીરો બેલેન્સ થઇ જશે ત્યારે આપોઆપ ખાતુ બંધ થઇ જશે. આ નિયમ તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૦થી લાગુ થશે.

Share Now