પાકિસ્તાનમાં ઐતિહાસિક હિન્દુ મંદિરને હિંસક બનેલા ટોળાએ તોડી પાડ્યું ,બાદમાં લગાવી આગ

277

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંત કરક જિલ્લામાં સ્થાનિક મૌલવીઓના નેતૃત્વમાં ભીડે એક હિંદુ મંદિરને તોડી પાડ્યું.ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે,જેમાં ઘણા લોકો મંદિરની દીવાલો અને છતને તોડતા જોવા મળી રહ્યા છે.મંદિર પર ભીડે એ રીતે હુમલો કર્યો કે,તેને જમીનદોસ્ત જ કરી દીધું. ઉલ્લેખનીય છે કે,પાકમાં મંદિરને નુકસાન પહોંચાડવાની આ કોઈ પહેલી ઘટના નથી,આ પહેલા પણ પાકિસ્તાનમાં મંદિરો પર હુમલા થતા રહ્યા છે.

વોઈસ ઓફ પાકિસ્તાન માઈનોરિટી નામના એક ટ્વીટર હેન્ડલથી પણ એક વિડીોય ટ્વીટ કરાયો છે,જેમાં મંદિરને તોડી પડાયું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાનના એક પત્રકાર મુજબ, હિંદુઓએ મંદિરનો વિસ્તાર કરવા માટે વહીવટી તંત્રની મંજૂરી માંગી હતી,પરંતુ સ્થાનિક મૌલવીઓએ મંદિરને નષ્ટ કરવા માટે ભીડ ભેગી કરી દીધી.એવું પણ કહેવાઈ રહ્યું છે કે,સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના અધિકારી મૂક દર્શક બની રહ્યા.

કરક જિલ્લાના તેરી ગામમાં આવલું ઐતિહાસિક મંદિર અને પરમહંસ મહારાજની સમાધિનો 2015માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વિસ્તાર કરાયો હતો. આ મંદિરને આ પહેલા 17માં એક સ્થાનિક મુફ્તીએ તોડી નાખ્યું હતું અને તેના પર પોતાનો કબજો કરી લીધો હતો.

ઘણા લોકોએ આ ઘટનાને ‘શરમજનક’ જણાવી છે.આ ઘટનાની ટીકા કરતા લોકોએ કહ્યું કે,જુઓ દેશમાં ધાર્મિક લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનમાં હિંદુ લઘુમતીઓ પર અત્યાચાર અને જબરજસ્તીથી ધર્મ પરિવર્તનના અહેવાલો સતત આવતા રહે છે.પાકિસ્તાનમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારને લઈને તાજેતરમાં જ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે,પાકિસ્તાનમાં વર્ષે 1000 હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓનું જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવાયા છે.તેમાં જણાવાયું હતું કે,આ ધર્મ પરિવર્તન મોટાભાગે લગ્ન કરવા માટે કરાવાય છે.પાકિસ્તાનમાં લઘુમતી કોમની છોકરીઓનું જબરજસ્તીથી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવી તેમના મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે.

Share Now