બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો નાશ કરવા હુમલા થઇ રહ્યા છે : RSS

225

– માનવ અધિકારોની વાતો કરનારૂં યુએન હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે કેમ ચુપ
– બાંગ્લાદેશની જેમ આસામમાં પણ હિંસાની ભીતિને પગલે રાજ્યમાં એલર્ટ, દરેક જિલ્લામાં પોલીસ ખડેપગે

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર મુદ્દે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે સંયુક્ત રાષ્ટ્રને ઘેર્યું હતું અને કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓના ખાતમા માટે જ તેમના પર અત્યાચારો થઇ રહ્યા છે અને આ એક પૂર્વાયોજિત કાવતરૂં છે.જે મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મૌન છે.બીજી તરફ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હિંસાને પગલે આસામમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે હિંસાની અસર ત્રિપુરામાં પણ જોવા મળી હતી,ત્રિપુરામાં હિંસા ફાટી નીકળી હતી આવી જ કોમી હિંસા આસામમાં ન ફાટી નીકળે તે હેતુથી ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે.દરમિયાન રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં એક ઠરાવ પણ પસાર કર્યો હતો.

મીડિયા સાથે વાત કરતા સંઘના જોઇન્ટ સેક્રેટરી અરૂણ કુમારે કહ્યું હતું કે હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચાર મુદ્દે કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરકારની સાથે વાતચીત કરવી જોઇએ.અને આ હુમલાઓને અટકાવવા જોઇએ. બાંગ્લાદેશમાં આ આ મહિને હિન્દુઓના અનેક મકાનો અને દુકાનોને સળગાવી દેવાયા હતા.દુર્ગા પૂજા દરમિયાન આ હિંસા ફાટી નીકળી હતી.

જ્યારે આસામમાં એલર્ટ અપાયું છે.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું હતું કે બધા જ ડેપ્યૂટી કમિશનરને એલર્ટ કરી દેવાયા છે.અને બાંગ્લાદેશમાં થયેલી હિંસાની અસર આસામમાં થતી અટકાવવા માટે દરેક સાવચેતીના પગલા લેવામાં આવે.

ત્રિપુરામાં પણ બાંગ્લાદેશની હિંસાની અસર જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને આસામમાં એલર્ટ અપાયું છે.રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે એક ઠરાવ પસાર કરીને કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા હુમલા એક કાવતરૂં છે,જુઠા સમાચારો અને અફવાઓ ફેલાવવામાં આવી.જ્યારે માનવ અિધકારોની વાતો કરનારૂ સંયુક્ત રાષ્ટ્ર પણ આ મામલે ચુપ છે.

દરમિયાન બાંગ્લાદેશ સરકારમાં મંત્રી હસન મહમૂદે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને પાકિસ્તાન સમર્થકોએ હિન્દુઓ પર હુમલા કરાવ્યા છે.આ તત્વોએ મળીને હિન્દુઓના ધાર્મિક સૃથળો પર કુરાન રખાવીને લોકોને ભડકાવ્યા છે.તેથી આ હિંસામાં પાકિસ્તાનનો પણ હાથ હોવાનો દાવો આ મંત્રીએ કર્યો હતો.

એક પણ મંદિર નથી તૂટયું, માર્યા ગયેલા છમાંથી ચાર મુસ્લિમ : બાંગ્લાદેશના વિદેશ મંત્રી

એક તરફ બાંગ્લાદેશના એક મંત્રી કહે છે કે હિન્દુઓ પર હુમલા થયા છે જ્યારે વિદેશ મંત્રીનો દાવો છે કે આ હુમલાઓમાં એક પણ મંદિરને નુકસાન નથી પહોંચાડવામાં આવ્યું.જોકે સાથે એવો પણ દાવો કર્યો છે કે આ હિંસામાં માત્ર છ લોકો જ માર્યા ગયા છે.બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં દાવો કરાયો છે કે હાલના જે કોમવાદી તોફાનો ફાટી નિકળ્યા છે તેમાં એક પણ હિન્દુ મંદિર પર હુમલો નથી કરાયો.સરકાર વિરૂદ્ધના પ્રોપેગંડાના ભાગરૂપે આ હુમલા થઇ રહ્યા છે.

Share Now