કેરળ, તા. 11. ડિસેમ્બર : મલયાલમ ફિલ્મ મેકર અલી અકબરે ઈસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કરીને ખળભળાટ મચાવ્યો છે.અલી અકબર પોતાના પરિવાર સાથે હિન્દુ ધર્મ અપનાવશે.તેમણે પોતાનુ નામ પણ નક્કી કરી લીધુ છે.તેઓ હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ રામસિમ્હન નામ રાખશે.તેમનુ કહેવુ છે કે આ વ્યક્તિનુ નામ એટલા માટે પસંદ કર્યુ છે કે, તે પોતાની સંસ્કૃતિની રક્ષા માટે મોતને ભેટયો હતો.
અલી અકબરે લાઈવ વિડિયોમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મોત પર ખુશ થયેલા લોકોની નિંદા કરી હતી અને તેમને એ વાતનુ પણ દુખ હતુ કે, આ પ્રકારના લોકોની કોઈ ધર્મગુરુએ નિંદા પણ કરી નથી.અલી અકબરે પોતાનુ જુનુ ફેસબૂક એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દીધુ છે અને ધર્મ પરિવર્તનનુ એલાન કર્યુ છે.
જોકે તેમનુ કહેવુ છે કે, હું મારી પુત્રીઓને ધર્મ પરિવર્તન માટે મજબૂર નહીં કરુ અને એ નિર્ણય તેમને લેવાનો છે.આ પહેલા અલી અકબર ભાજપમાં જોડાયા હતા અને લીડરશીપ સાથે થયેલા મતભેદો બાદ રાજીનામુ આપ્યુ હતુ.