– ત્યાંના ઈમામ પોતાના ઉપદેશોમાં ઈસાઈઓ, સમલૈંગિકો અને યહૂદીઓને ટાર્ગેટ કરી રહ્યા હતા
નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર, 2021, બુધવાર : ફ્રાંસની ઈમૈનુએલ મૈક્રોં સરકારે દેશના ઉત્તરી હિસ્સામાં સ્થિત એક મસ્જિદને બંધ કરવાનો આદેશ આપ્યો છે.અધિકારીઓએ જણાવ્યું કે, મસ્જિદનો ઈમામ કટ્ટરપંથી ઉપદેશ આપતો હતો. મસ્જિદને બંધ કરવાનું કારણ સ્પષ્ટ કરતાં અધિકારીઓએ આ જાણકારી આપી હતી.
પેરિસની ઉત્તરમાં આશરે 100 કિમી દૂર 50,000ની જનસંખ્યાવાળા શહેર બોવૈ ખાતે આ મસ્જિદ આવેલી છે.સ્થાનિક પ્રશાસનના કહેવા પ્રમાણે મસ્જિદને 6 મહિના માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, ઈમામના ઉપદેશ નફરત, હિંસા અને ‘જિહાદની રક્ષા’ કરવા ઉશ્કેરે છે.
મસ્જિદમાં આશરે 400 લોકો ઈમામના અનુયાયી છે. ફ્રાંસના ગૃહમંત્રી ગેરાલ્ડ ડાર્માનિનને પણ મસ્જિદને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેવી જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે, ત્યાંના ઈમામ પોતાના ઉપદેશોમાં ‘ઈસાઈઓ, સમલૈંગિકો અને યહૂદીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.’ ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, આ અસ્વીકાર્ય છે.
સ્થાનિક અધિકારીઓ કાયદાકીય રીતે મસ્જિદ પર કાર્યવાહી કરતા પહેલા સૂચના એકત્ર કરવા માટે 10 દિવસો સુધી રાહ જોવા માટે બંધાયેલા હતા પરંતુ મંગળવારે એએફપીને જણાવવામાં આવ્યું કે, મસ્જિદ હવે 2 દિવસની અંદર બંધ થઈ જશે. જાણવા મળ્યા મુજબ મસ્જિદના ઈમામે તાજેતરમાં જ ઈસ્લામ અપનાવ્યો હતો.મસ્જિદનું પ્રબંધન કરનારા સંગઠનના એક વકીલે જણાવ્યું કે, તેણે પ્રતિબંધના અંત માટે અપીલ કરેલી છે.