વધુ બાળકોને જન્મ આપો નહીં તો ભારત હિન્દુઓ વગરનું થઈ જશે : યતિ નરસિંહાનંદ

377

– કોઈ મુસ્લિમ ભારતના વડાપ્રધાન બનશે તો આગામી વર્ષોમાં ૫૦ ટકા હિન્દુઓનું ધર્મપરિવર્તન થઈ જશે

મથુરા, તા. ૮ : ઈસ્લામિક જેહાદ વિરુદ્ધ ધર્મ સંસદના પ્રણેતા ડાસના મંદિરના મહંત મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરીએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કરતાં જણાવ્યું હતું કે, હિન્દુઓએ વધુમાં વધુ બાળકો પેદા કરવા જોઈએ નહીં તો ૨૦૨૯ સુધીમાં ભારતમાં મુસ્લિમ વડાપ્રધાન હશે અને ભારત હિન્દુ વિહિન થઈ જશે.

હરિદ્વાર હેટ સ્પીચ કેસમાં જામીન પર છૂટેલા વિવાદાસ્પદ સાધુ યતિ નરસિંહાનંદે ગુરુવારે ગોવર્ધનમાં જણાવ્યું હતું કે, આજે સનાતન ધર્મનું સંપૂર્ણ અસ્તિત્વ જોખમમાં છે. જે રીતે ભારતમાં હિન્દુઓની વસતી ઘટી રહી છે,તે ચિંતાનું મોટું કારણ છે. ગાણિતિક દૃષ્ટિએ જોઈએ તો વર્ષ ૨૦૨૯માં કોઈ મુસ્લિમ આ દેશના વડાપ્રધાન બની જશે.એક વખત કોઈ મુસ્લિમ આ દેશના વડાપ્રધાન બની જશે તો માત્ર આગામી ૨૦ વર્ષમાં આ દેશ ‘હિન્દુ વિહીન’ રાષ્ટ્ર બની જશે.તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વને જગાવવા માટે ૧૨મી ઑગસ્ટથી ૧૪મી ઑગસ્ટ વચ્ચે મથુરા ગોવર્ધનમાં ધર્મ સંસદ યોજાશે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં હરિદ્વારમાં કથિત રીતે ધર્મ સંસદ યોજવા બદલ નરસિંહાનંદની ધરપકડ થઈ હતી અને પાછળથી તેમને જામીન પર છોડી મુકાયા હતા.આ ધર્મ સંસદમાં મુસ્લિમો વિરુદ્ધ કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો તેમના પર આરોપ હતો.તેમણે દિલ્હીમાં ગયા રવિવારે બુરારી મેદાનમાં યોજાયેલી હિન્દુ મહાપંચાયતમાં પણ ભાગ લીધો હતો.અહીં તેમણે દાવો કર્યો હતો કે કોઈ મુસ્લિમ ભારતના વડાપ્રધાન બનશે તો આગામી વર્ષોમાં ૫૦ ટકા હિન્દુઓનું ધર્મપરિવર્તન થઈ જશે અને હિન્દુઓએ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હથિયાર ઉઠાવવા પડશે.

Share Now