મુંબઈ : મુંબઈના નગરસેવકો તેમના વિસ્તારને અનોખો બનાવવા અને જનપ્રસિદ્ધિ મળે એ માટે અવનવાં ગતકડાં કરતા હોય છે.જોકે કાંદિવલી-વેસ્ટના બીએમસીના વૉર્ડ-નંબર ૩૫નાં ભારતીય જનતા પાર્ટીનાં જૈન નગરસેવિકા સેજલ દેસાઈએ શંકર લેનના ડિવાઇડર પર ૧૫૦ મીટરના અંતરમાં જૈનોના ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામી ભગવાનનાં માતા િત્રશલાદેવીને ભગવાન જ્યારે તેમના ગર્ભમાં હતા ત્યારે આવેલાં ૧૪ સુપનોથી સજાવીને દેશના જ નહીં,વિશ્વભરના જૈનોને આકર્ષવામાં સફળતા મેળવી છે.બે દિવસથી સોશ્યલ મીડિયા પર કાંદિવલીની શંકર લેનમાં સ્થાપિત કરવામાં આવેલાં ૧૪ સુપનોથી સજાવેલાં ડિવાઇડરોનો વિડિયો સૌથી વધારે વાઇરલ થઈ રહ્યો છે.
સોશ્યલ મીડિયામાં એને પ્રશંસા મળી રહી છે.આ પ્રોજેક્ટના ઉદ્ભવસ્થાન વિશેની માહિતી આપતાં સેજલ દેસાઈએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘હું ગોંડલ સંપ્રદાયની સ્થાનકવાસી જૈન છું.મારા વિસ્તારમાં મારો એક અનોખો અલૌકિક પ્રોજેક્ટ કરવાની લાંબા સમયથી ભાવના હતી.આ માટે હું અને મારા મિસ્ટર પ્રશાંત દેસાઈ મારા વૉર્ડમાં ચાર મહિના પહેલાં રાઉન્ડ પર નીકળ્યાં હતાં.અમારે એવું કંઈક કરવું હતું જે લોકોના દિલમાં લાંબા સમય સુધી વસી જાય.અમે આ પહેલાં એસ.વી.રોડ પર યોગનાં સ્ટૅચ્યુ કર્યાં હતાં જેને મારા મતદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
અમારે અમારા બિલ્ડિંગના મતદારોને કોઈ યાદગાર પ્રોજેક્ટ આપવાનો વિચાર કરતાં હતાં.કોણ જાણે પ્રશાંતને કુદરતી સંકેત મળ્યો અને તેના મગજમાં ૧૪ સુપનોનો વિચાર સ્ફુરી આવ્યો.તેમણે મને આ વાતની જાણ કરી અને મને પણ તેમના વિચારમાં નવીનતા લાગી.એને અમલમાં મૂકવા જેટલી મારી પાસે નિધિ હતી નહીં,પણ અમારે અમારા વિચારોને અમલમાં તો મૂકવા જ હતા.એ માટે અમે બંને કટિબદ્ધ હતાં.’
જાણે અમારી ભાવના કુદરત સુધી પહોંચી હોય એમ અમારા જ વિસ્તારના જૈન અગ્રણી મનીષ શાહનો અમને વૅક્સિન માટે ફોન આવ્યો એમ જણાવીને સેજલ દેસાઈએ કહ્યું હતું કે‘મનીષ શાહે અમારા વિચારને અમલમાં મૂકવા માટેની પૂરી તૈયારી બતાવી.
તેમણે કહ્યું કે પહેલું સપનું મારા તરફથી અને આપણે મારા જેવા ૧૪ દાતા શોધી લઈશું જેઓ તારા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આગળ આવે. મનીષ શાહ પછી અમારા જ વિસ્તારના એક યુવાન સ્મિત સંઘવી સાથે અમારી વાત થઈ અને તેણે પણ મને સાથસહકાર આપવાની તૈયારી બતાવી.એક ભાઈ તો બધાં જ સુપનો પોતાના ખર્ચે આપવા માટે ઉત્સુક હતા.જોકે તેઓ બહારગામ ગયા એટલે એક પણ સપનાનો લાભ લઈ શક્યા નહોતા.
જોકે તેમની ઉચ્ચ ભાવનાને કારણે અમને મનીષ શાહ અને સ્મિત સંઘવી જેવા ૧૪ સુપનોના દાતા મળી ગયા હતા.જે રીતે જૈન સમાજે મને ખોબલે-ખોબલે મત આપ્યા હતા એ જ રીતે મારા આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે જૈન સમાજના દાનવીરો વચ્ચે લિટરલી હોડ લાગી હતી.અમારે આ સુપનોને ખુલ્લા વાતાવરણમાં રાખવાનાં હતાં એમ જણાવીને સેજલ દેસાઈએ કહ્યું હતું કે‘આ સુપનો મૂકવાથી કોઈ આશાતના તો નહીં થાયને એ માટે અમે અમારા ગુરુભગવંતોની સાથે ચર્ચાવિચારણા કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
આની સાથે ખુલ્લા વાતાવરણમાં મૂકવામાં આવેલાં સુપનોનો રંગ ઝાંખો ન પડે એનું પણ ધ્યાન રાખવાનું હતું.આથી અમને આ સુપનોને બનાવતાં ત્રણ મહિનાનો સમય લાગી ગયો હતો.અમારે તો એનું લોકાર્પણ મહાવીર જન્મકલ્યાણના દિવસે કરવું હતું,પરંતુ અમને કારીગરો તરફથી એ સમય સુધીમાં સુપનો મળી શક્યાં નહોતાં.આથી અમે એનું લોકાર્પણ બે દિવસ પહેલાં જ કર્યું.એટલું જ નહીં,સુપનોની પવિત્રતાને ધ્યાનમાં રાખીને સુપનોને કમલાસન પર રાખવામાં આવ્યાં છે.એની સાથે આ સુપનોનો પટ્ટો પૂરો થાય એ જગ્યાને મહાવીર ચોક નામ આપીને અમારા લોકલાડીલા વિધાનસભ્ય યોગેશ સાગરના હસ્તે ચોકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.’
આ પ્રકારે મહાવીરસ્વામીનાં માતા િત્રશલાદેવીએ નીરખેલાં ૧૪ સુપનોને જાહેર સ્થળે વિશ્વમાં પહેલી વાર સ્થાપિત કરવામાં આવ્યાં છે એમ જણાવીને મહાવીરનગર જૈન સંઘના અધ્યક્ષ પ્રવીણ લાલજીએ‘મિડ-ડે’ને કહ્યું હતું કે‘સુપનો જાહેર સ્થાનમાં મૂકવાથી જૈનોની સાથે જૈનો સિવાયના લોકોમાં પણ મહાવીરસ્વામીની માતા િત્રશલાદેવીને આવેલાં ૧૪ સુપનોનો મહિમા સમજી શકશે.આ સુપનોનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે જૈન સમાજ માટે જ નહીં,જૈનો સિવાયના સમાજ માટે કુતૂહલ હતું.સૌ સેજલ દેસાઈના કાર્યની પ્રશંસા કરતા હતા.અમે આ માટે ગૌરવ અનુભવીએ છીએ.’