આજે દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી,રાષ્ટ્રપતિ,વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીએ આપી શુભેચ્છા

50

– રામ નવમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે
– આજે ભક્તો મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે

નવી દિલ્હી, 30 માર્ચ 2023, ગુરુવાર : દેશના અનેક ભાગોમાં આજે રામ નવમીની ધાર્મિક ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.હિંદુ ધર્મમાં રામ નવમીના તહેવારના દિવસે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મની ઉજવણી કરવામાં આવે છે.આ ધાર્મિક દિવસે ભારત દેશના રાષ્ટ્રપતિ, PM અને કેન્દ્રિય ગૃહમંત્રીએ દેશવાસીઓને શુભેચ્છા આપી હતી.

રામ નવમીના તહેવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ

હિંદુ ધર્મમાં બે ગુપ્ત નવરાત્રી સિવાય ચૈત્ર અને શારદીય નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ બંને નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવાની વિધિ છે.પરંતુ ચૈત્ર અને શારદીય નવરાત્રીની નવમી અને દશમી બંને તિથિઓ ભગવાન રામ સાથે સંબંધિત છે.શારદીય નવરાત્રીના દસમા દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો.આ ઉપરાંત ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો.રામ નવમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે.આ દિવસે જે ભક્તો મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની પૂર્ણ ભક્તિ અને નિયમથી પૂજા કરે છે તેમના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

રાષ્ટ્રપતિ, PM અને કેન્દ્રિય ગૃહમંત્રીએ રામનવમની શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ નવમીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ભગવાન રામનું જીવન દરેક યુગમાં માનવતા માટે પ્રેરણા બની રહેશે.પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, રામ નવમીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રામ નવમીની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે રામ નવમીના ખાસ દિવસ પર દરેકને હાર્દિક શુભેચ્છાઓ.મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રી રામે ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની સાથે સમગ્ર માનવ જગતને વિકટ પરિસ્થિતિમાં પણ ધીરજ અને સૌ પ્રત્યે દયા રાખવાની શીખ આપી હતી.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રામ નવમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા એક સંદેશમાં કહ્યું કે ભગવાન રામની જન્મજયંતિ તરીકે ઉજવાતો આ તહેવાર નિઃસ્વાર્થ સેવાનો સંદેશ આપે છે.

નવરાત્રી અને રામ નવમીનું મહત્વ

પંચાંગ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર નવરાત્રિમાં નવમી તિથિએ થયો હતો.હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી રામના રૂપમાં પૃથ્વી પર પોતાનો સાતમો અવતાર લીધો હતો.આ દિવસથી આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.

Share Now