શંકરસિંહ વાઘેલાની વધુ એક ભાજપ વિરોધી નેતા સાથે મુલાકાત

77

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વધુ એક ભાજપ વિરોધી નેતાને મળ્યા છે.શંકરસિંહ બાપુએ આજે મુંબઈ ખાતે યુબીટી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ બાલસાહેબ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.આ બને નેતાઓ માતોશ્રી ખાતે એકબીજાને મળ્યા હતા.શંકરસિંહ વાઘેલા અને ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

શુભેચ્છા મુલાકાત ગણાવતા નેતાઓ

મુંબઈના માતોશ્રી ખાતે યુબીટીના ઉદ્ધવ ઠાકરે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી.આ બને નેતાઓએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાતનું નામ આપ્યું હતું અને કોઈ રાજકીય ચર્ચા થઈ ન હોવાનું પણ તેઓએ સ્પષ્ટતા કરી હતી.જો કે એક બાદ એક નેતાઓને મળવા જઈ રહેલા શંકરસિંહ વાઘેલા અંદરખાને કંઈક ખીચડી પકવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અગાઉ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવને મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત પહેલા શંકરસિંહ વાઘેલા ઉત્તર પ્રદેશ પ્રવાસે ગયા હતા.ત્યાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી અને સપા નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી જેમના પણ ફોટાઓ વાયરલ થયા હતા.જો કે તેને પણ વાઘેલાએ શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.આ ઉપરાંત તેઓ ત્યાં ગુજરાતના પૂર્વ મહિલા મુખ્યમંત્રી અને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત માટે ગયા હતા.

Share Now