અમદાવાદ, તા.૨૦: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં વેપારીઓએ માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં રિટર્ન ફાઇલ કરવા માટેની મુદત તા.૨૪ જૂન સુધી લંબાવાઈ છે પરંતુ છેલ્લા બે દિવસથી શ્જી્ પોર્ટલના ધાંધિયા સર્જાવાના કારણે હવે રિટર્ન કેવી રીતે ફાઇલ કરવા તે અંગે વેપારીઓ મુંઝાઈ રહ્યા છે.જો ત્રણ મહિનાના રિટર્ન ફાઇલ નહીં થઈ શકે તો વેપારીઓને લેટ ફી અને વ્યાજ ભરવાની નોબત આવશે. રિટર્ન ફાઇલિંગની મુદત તા.૩૧ જુલાઈ સુધી લંબાવવી જોઈએ.
જીએસટી કાઉન્સિલની તા.૧૨ જૂને યોજાયેલી મિટિંગમાં કોરોનાને કારણે લોકડાઉન અમલી બનવાને પગલે માર્ચ,એપ્રિલ અને મે મહિનાના જીએસટી રિર્ટન ફાઇલ કરવા માટેની મુદત તા.૨૪ જૂન સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ રિટર્ન ફાઇલિંગની તારીખ નજીક આવવાની સાથે જ જીએસટી પોર્ટલ ઠપ થવાથી વેપારીઓના રિટર્ન ફાઇલ થઈ શકતા નથી. લોકડાઉનમાંથી બહાર આવેલા વેપારીઓ તેમના વેપાર-ધંધા માંડ માંડ ‘સેટ’ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અનલોકની સ્થિતિ પછી રિટર્ન ફાઇલિંગ માટે માત્ર ૧૦-૧૨ દિવસની જ મુદત અપાઈ છે અને તે ઉપરાંત જીએસટી પોર્ટલ ઠપ થવાથી રિટર્ન ફાઇલ થઈ શકતા નથી.સરકાર દ્વારા આત્મનિર્ભરની વાતો કરવામાં આવે છે તે સંજોગોમાં વેપારીઓ પોતે આત્મનિર્ભર બનવા વેપાર-ધંધામાં નાણાંનું રોકાણ કરે કે પછી દેશને આત્મનિર્ભર બનાવવા ટેકસ ભરે, એ જ સમજાતું નથી. વેપારીઓને છેલ્લા ત્રણ મહિનાના એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાના રિટર્ન ફાઇલ કરવા માટે ફકત ૧૦થી ૧૨ દિવસનો સમય આપ્યો છે તે અપૂરતો છે અને જીએસટીની વેબસાઇટ- પોર્ટલના ધાંધિયાને કારણે વેપારીઓ પરેશાન થઈ ગયા છે.રિટર્ન ફાઇલિંગની મુદત તા.૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી લંબાવવી જોઈએ, તેવી વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટ્સની માગણી છે.જો આ પ્રકારે જુલાઈ સુધી રિટર્ન ફાઇલિંગની મુદત લંબાવવામાં આવે તો વેપારીઓ લાભ લઈ શકે અને રિટર્ન ફાઇલ કરી શકે.


