મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની અંતિમ પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવું પડશે. ભોપાલમાં કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર એક પત્રકારની દીકરી કોરોના પોઝિટિવ હતી. ત્યારબાદ પત્રકારનો ટેસ્ટ થયો જે પણ પોઝિટિવ મળ્યો છે. આ કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે સંપર્કમાં આવેલા તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવું પડશે.
પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓની પણ યાદી બનાવવામાં આવશે
આ ઉપરાંત તંત્ર તરફથી પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓની પણ યાદી બનાવવામાં આવશે, જેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. આવામાં પ્રશ્ન ઉભો થાય છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કમલનાથ પણ હાજર હતા, શું તેમને પણ ક્વારન્ટીન કરવામાં આવશે? કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા પહેલા ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભોપાલ જ નહીં, દિલ્હીનાં પણ પત્રકારો હાજર હતા.
પત્રકારોને ક્વારન્ટીનમાં મોકલવામાં આવી શકે છે
આવામાં પ્રશ્ન ઉભો થાય છે કે શું દિલ્હીનાં પત્રકારો માટે કોઈ ખાસ સૂચના જાહેર કરવામાં આવશે? અત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં મોકલવામાં આવી શકે છે. પત્રકારનો રિપોર્ટ આજે જ આવ્યો છે, ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી એ લોકોની ઓળખ શરૂ થઈ ગઈ છે, જે લોકો તેના સંપર્કમાં આવ્યા હતા.
કમલનાથ સરકારનાં ધારાસભ્યો અને મંત્રી પણ ત્યાં હાજર હતા
ના ફક્ત પત્રકાર, કમલનાથ સરકારનાં ધારાસભ્યો અને મંત્રી પણ ત્યાં હાજર હતા. કૉંગ્રેસનાં મોટા નેતા અને પ્રવક્તા હાજર હતા. હવે જોવાની વાત એ છે કે વહીવટી તંત્ર કેટલી જલદી એડવાઇઝરી જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કોરોનાનાં 15 કેસ પોઝિટિવ આવ્યા છે. દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો લગભગ 600 પહોંચી ગયો છે, જેમાં 11 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઠીક થઈને ઘરે ગયા છે.