નવી દિલ્હી,તા.8.મે.2020
કોરોના સામે લડાઈ લડી રહેલા ભારતનુ ટેન્શન પાકિસ્તાન બાદ ચીને પણ વધાર્યુ છે.પાકિસ્તાન કાશ્મીર સરહદે ભારતીયે સેના પર ઉશ્કેરણીજનક ગોળીબાર કરી રહ્યુ છે ત્યારે ચીને હવે હિન્દ મહાસાગરમાં પોતાનો યુધ્ધ જહાજોનો એક જંગી કાફલો ઉતાર્યો છે.
દક્ષિણ ચીનિ સાગરમાં દાદાગીરી કરનાર ચીનની નજર છેલ્લાકેટલાક વખતથી હિન્દ મહાસાગર પર પણ છે.ચીને ભારતના પ્રભાવ હેઠળના આ દરિયાઈ વિસ્તારમાં પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે ધમપછાડા શરુ કર્યા છે.ચીને પોતાની નૌસેનાના 35મા ટાસ્ક ફોર્સને એડનની ખાડીમાં તૈનાત કરવાની જાહેરાત કરી છે.જેથી હિન્દ મહાસાગરમાં ચાંચિયાઓ સામે લડી શકાય.આ નૌકા કાફલામાં ગાઈડેડ મિસાઈલથી સજ્જ બે યુધ્ધ જહાજો, બે ડઝન હેલિકોપ્ટર અને બળતણ ભરવા માટેનુ જહાજ પણ સામેલ છે.આ કાફલામાં 690 નૌ સૈનિકોનો સમાવેશ થાય છે.ચીનનુ કહેવુ છે કે,ચીનના જહાજોને ચાંચિયાઓથી બચાવવા આ કાર્વાહી કરાઈ છે.જોકે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં ચાંચિયાઓના ઉપદ્રવનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી ત્યારે ચીનની આ ચાલ પાછળનો ઈરાદો ભારતને ઘેરવાનો છે.
નિષ્ણાતોનુ કહેવુ છે કે,ચીને ભારતની આસપાસના દેશો જેવા કે પાકિસ્તાન,મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પોતાના હિત સાધવા માટે બેઝ બનાવ્યા છે.જેના થકી તે ભારતને ઘેરી રહ્યુ છે.હિન્દ મહાસાગરમાં ભારતનો દબદબો ચીનને પસંદ નથી.જોકે ચીન આ વાત સ્વીકારી રહ્યુ નથી.બીજી તરફ ભારતીય નૌ સેનાએ પણ કહ્યુ છે કે,હિન્દ મહાસાગરમાં પોતાની તમામ શક્તિઓ સાથે નૌસેના કાર્યરત છે.ભારતીય જહાજોએ પણ ખાડીના દેશો સુધી પેટ્રોલિંગ વધારી દીધુ છે.

