– પીએચડી ચેમ્બર ઓફ કોમર્સનું નિવેદનઃ કુશળ અને અકુશળ મજુરોની અછતને કારણે ઉત્પાદન પર અસર પડશે ; મેન્યુ.થી લઈને રીયલ એસ્ટેટ સહિતના સેકટરને ૨૫થી ૩૦ ટકાનું નુકશાન સહન કરવુ પડશે : કોરોના બાદ પણ ઉદ્યોગ-ધંધા શરૂ કરવા પડકાર : શ્રમિકોનો ડર દૂર કરવા લાગશે ૬ મહિનાઃ ઉદ્યોગોને મેનપાવર અને મની બન્નેની અછતનો સામનો કરવો પડશે
નવી દિલ્હી, તા. ૮ :. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે લાખો શ્રમિકોની ઘરવાપસીથી ભારતીય અર્થવ્યવસ્થાને ૩ લાખ કરોડ રૂપિયાનું નુકશાન થઈ શકે છે.પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સંજય અગ્રવાલે જણાવ્યુ છે કે પ્રવાસી મજુરોનું યોગદાન દેશના તમામ ઉદ્યોગોમાં છે.તેઓની ઘરવાપસીથી તમામ ઉદ્યોગો જેમ કે મેન્યુફેકચરીંગથી લઈને રીયલ એસ્ટેટ વગેરેને અસર થઈ શકે છે.તેઓને ૨૫થી ૩૦ ટકા જેટલુ નુકશાન થઈ શકે છે.આવુ કુશળ અને અકુશળ મજુરોની અછતને કારણે ઉત્પાદન પ્રભાવિત થવાથી થશે.કોરોના લોકડાઉનમાં પાટા ઉપરથી ઉતરી ગયેલ વેપાર-ધંધાને હવે ફરીથી ટ્રેક પર લાવવાનું મુશ્કેલ બનશે.કેન્દ્ર અને રાજ્યો આ બાબતે મથામણ કરી રહી છે.આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા મજુરો કોઈપણ પ્રકારે ઘરવાપસી કરવા ઉતાવળા છે.તેઓ બીજા પ્રદેશમાં રહેવા નથી ઈચ્છતા.વર્ક ફોર્સ અનિશ્ચિતતામાં ફસાઈ ગયુ છે.મજુરોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે.તેઓ બીજા પ્રદેશમાં રહેવા નથી ઈચ્છતા.કોરોના સમાપ્ત થવાના પાંચ-છ મહિના બાદ તેઓનો ડર દૂર થઈ શકશે.એનો અર્થ એ કે ઈન્ડસ્ટ્રીઝ અને નાના ઉદ્યોગોના ધંધા સંપૂર્ણ રીતે શરૂ થવામાં અડધુ વર્ષ લાગી જશે.કોરોનાના કારણે જે અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે તેને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય બન્નેએ સાથે મળીને કામ કરવુ પડશે.કેન્દ્ર એ એવા પેકેજ આપવા પડશે જેનાથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવાવાળા લોકોમાં ઉત્સાહ દેખાય શકે.અત્યારે એવો સમય છે જેમા મેનપાવર અને પૈસા બન્નેની અછત છે.હવે અનેક રાજ્યો તરફથી એવી માંગ ઉઠી છે કે મજુરોને જતા અટકાવવા.


