– માછીમારીની સિઝન પુરી થતાં મોટાભાગની ભારતીય બોટો કિનારે છે,ત્યારે સુની દરિયાઈ સીમા વાટે ભારતમાં ઘૂસણખોરીનો પાકિસ્તાનનો દાવ
કચ્છ,ભુજ : કાશ્મીરમાં આપણા સુરક્ષાબળો આતંકવાદીઓ સાથેની લડાઈ અને ઘૂસણખોરી અટકાવવામાં વ્યસ્ત છે.ત્યાં પાકિસ્તાન દ્વારા કચ્છની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને આતંકી ગતિવિધીને અંજામ આપવાનાં ગુપ્તચર તંત્રના એલર્ટથી ખળભળાટ મચી ગયો છે.ઇન્ટેલિજન્સ ઇનપુટ પ્રમાણે પાકિસ્તાન તરફથી કચ્છના સમુદ્રી માર્ગે ઘૂસણખોરી થઈ શકે છે.આ એલર્ટને પગલે કચ્છની ક્રીક ઉપરાંત રણ બોર્ડર ઉપર કડક જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે એકબાજુ આપણી માછીમારીની સિઝન પુરી થઈ ગઈ છે.મોટાભાગની બોટો કિનારે લાંગરી ચુકી છે.ત્યારે કચ્છ સાથે જોડાયેલી પાકિસ્તાનની ક્રીક સીમા ઉપર સામે પાર છેલ્લા માછીમારીની બોટોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.તો,કચ્છની સર ક્રીક સીમાની સામે પાર આવેલી પાકિસ્તાનની રાધાપીર પોસ્ટ ઉપર આવેલા વોચ ટાવર ઉપર પાક મરીન સિક્યોરિટી એજન્સી તથા પાક રેંજર્સના જવાનોની હીલચાલ જોવા મળી રહી છે.કાશ્મીરમાં આતંકી વિરુદ્ધ ભારતીય સેના દ્વારા વિશેષ ઓપરેશન ચાલી રહ્યા છે તેમજ આતંકીઓને ઠાર મારવામાં આવી રહયા છે.ત્યારે,કચ્છની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ઘૂસણખોરી થઈ શકે છે.આ ઇનપુટથી કચ્છ સરહદ ઉપર આપણા સુરક્ષા બળો દ્વારા વિશેષ સાવધાની રાખવામાં આવી રહી હોવાનુ સૂત્રોએ જણાવ્યું છે.


