કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી મજૂરોને અનાજની મુશ્કેલી ના પડે તે માટે બે મહિના ખાસ યોજના હેઠળ ધાન્યની ઉપલબ્ધી કરાવી હતી. જેમાં વ્યક્તિદીઠ 5 કિલો અનાજ અને કુટુંબદીઠ 1 કિલો કઠોળ આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 20.36 લાખ પરપ્રાંતિય કામદારોને મફત અનાજની સપ્લાય કરવામાં સફળ રહી છે.જો કે,કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારોએ રેશનકાર્ડ ન હોવાના 8 કરોડ પ્રવાસી શ્રમિકોને મફત અનાજ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરેલા ડેટામાં આ વાત બહાર આવી છે.કેન્દ્ર સરકારે 14 મેના રોજ કોરોના વાયરસ મહામારીને પગલે કોઈ પણ પરપ્રાંતિય કામદારો ભૂખ્યા ન રહે તે માટે નિઃશુલ્ક અનાજ આપવાની યોજનાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત પરિવહન કામદારોને રેશનકાર્ડ વિના વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ અને કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ચણાદાળ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
20 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજનો એક ભાગ
આ જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજનો એક ભાગ હતો.આ અંતર્ગત 8 કરોડ પ્રવાસી મજૂરોને મફત અનાજ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે,રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 4.42 લાખ ટન અનાજ લીધું છે અને 20.26 લાભાર્થીઓને 10,131 ટન અનાજનું વિતરણ કર્યું છે.
પ્રવાસી લાભાર્થીઓની સંખ્યા કુલ લક્ષ્યાંકના માત્ર 2.25 ટકા
ડેટાના વિશ્લેષણ બતાવે છે કે મફત અનાજ યોજનાથી લાભ મેળવનારા પ્રવાસી લાભાર્થીઓની સંખ્યા કુલ લક્ષ્યાંકના માત્ર 2.25 ટકા છે. પ્રવાસીઓને મફત અનાજ વિતરણ માટે રાજ્યોએ વિવિધ મોડેલો અપનાવ્યા છે.કેટલાક રાજ્યો સૂકા રાશન સાથે રાંધેલા ખોરાકનું વિતરણ કરી રહ્યા છે,જ્યારે કેટલાક રાજ્યો ફૂડ કૂપન્સ જારી કરી રહ્યા છે.ચણાના મફત વિતરણના કિસ્સામાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે 1.96 કરોડ પ્રવાસી પરિવારોને બે મહિનાના વિતરણ માટે 39,000 ટન કઠોળની મંજૂરી આપી છે.રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 28,306 ટન ચણા / દાળ મોકલવામાં આવી છે.તેમાંથી 15,413 ટન ઉપાડવામાં આવ્યા છે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 631 ટન ચણા-દાળનું વિતરણ કરાયુ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 631 ટન ચણા-દાળનું વિતરણ કરવામાં આવ્યું છે.એ જ રીતે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય) હેઠળ,રાજ્યોએ એપ્રિલમાં મફત અનાજ વિતરણમાં 92.45 ટકા કવરેજ મેળવ્યું છે,મે મહિનામાં 87.33 ટકા, જ્યારે જૂનમાં અત્યાર સુધીમાં 17.47 ટકા વિતરણ થયું છે.રાજ્યોએ અત્યાર સુધીમાં 105.10 લાખ ટન અનાજ લીધું છે.જેમાં એપ્રિલમાં 36.98 લાખ ટન,મેમાં 34.93 લાખ ટન અને જૂનમાં અત્યાર સુધીમાં 6.99 લાખ ટન સ્ટોક મેળવ્યો છે.

