વલસાડ,06 જુલાઇ : કપરાડા તાલુકાના અરણાઇ ગામે આવેલા રામેશ્વર મંદિર ખાતે હિન્દુ યુવા વાહિની અને પર્યાવરણ રક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હિન્દુ યુવા વાહિનીના સભ્યો તેમજ પર્યાવરણ રક્ષક સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને મંદિરના પટાંગણમાં 200 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.
અરણાઈ ગામે વર્ષો જૂના ગરમ પાણીના કુંડ આવેલા છે.અહીંયા મોટી સંખ્યામાં અનેક સહેલાણીઓ આવે છે. પ્રાચીન દંતકથા મુજબ ભગવાન રામ પણ વનવાસ દરમિયાન માતા સીતા સાથે અહીંથી પસાર થયા હતા.જેથી અહીંના લોકોમાં આ રામેશ્વર મંદિર ખૂબ આસ્થા ધરાવે છે.
વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન મંદિરે દર્શનાર્થે આવેલી મહિલા સહેલાણીઓએ પણ વૃક્ષારોપણમાં સહયોગ આપી વિવિધ વૃક્ષોનું વાવેતર કર્યું હતું.આ પ્રસંગે પર્યાવરણ રક્ષક સમિતિના મયંક પટેલે જણાવ્યું હતું કે,પર્યાવરણની સુરક્ષા એ દરેક મનુષ્યનું કર્તવ્ય અને તેની રક્ષા કરવા માટે વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન હંમેશા કરવું જોઈએ.આ અંગે હિન્દુ યુવા વાહિની કપરાડા તાલુકાના પ્રમુખ કલ્પેશભાઈએ જણાવ્યું કે,વૃક્ષો વાવવાથી જમીનનું ધોવાણ અટકે છે.આ સાથે જ વૃક્ષો સારો વરસાદ લાવવા માટે ઉપયોગી થાય છે.જેથી દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જોઈએ.મંદિરના પટાંગણમાં વાવવામાં આવેલા 200થી વધુ વૃક્ષોમાં ગરમાળો, જાંબુ સહિતના વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.


