ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી યોજના લાભ મેળવવામાં આવે છે તે મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આદિવાસીઓએ પણ આ મુદ્દે આંદોલન કરી વિવાદનો અંત લાવવા પ્રયાસો કર્યા છે. ગઇકાલે પણ ગાંધીનગર શહેરમાં આદિવાસી ધારાસભ્ય બેઠક યોજી આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આખરે આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરી હતી કે, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રના મુદ્દે રાજ્ય સરકાર આગામી દિવસોમાં એક જ યુડિશિયલ કમિશનની રચના કરશે.
એટલું જ નહીં સાચા લાભાર્થીઓ કોણ છે તે કમિશન નક્કી કરશે. કેબિનેટની બેઠક બાદ વન મંત્રી ગણપત વસાવાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્ષ ૧૯૫૬માં ગીર બરડામાં રહેતા ચારણ, ભરવાડ સમાજને આદિવાસી જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાચા આદિવાસીનો હક યથાવત રહે અને ખોટા લોકો આદિવાસીઓનો લાભ મેળવે તે મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક કમિશન બનાવવાનું નક્કી કર્યું છે.
આ કમિશન સાચા લાભાર્થીઓ કોણ છે તેની યાદી પણ નક્કી કરશે. આ ઉપરાંત જો કોઈને વાંધો હોય તો તે વાંધાઓ પણ સાંભળશે. આ કમિટીમાં મહેસુલ અને વન વિભાગના નિવૃત્ત અધિકારીઓને પણ સમાવેશ કરવામાં આવશે.


