ગુજરાતમાં સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે રાજકીય ક્ષેત્રમાં પણ અનેક નેતાઓ સંક્રમીત બનવા લાગ્યા છે અને હવે તેમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ પાટકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ મચી ગયો છે. રાજ્યમાં આદિવાસી વિકાસ બાબતોનો હવાલો સંભાળતા શ્રી પાટકરને અમદાવાદની યુ.એમ.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સઘન સારવાર અપાઈ રહી છે.
તેઓને ગઇકાલે સાંજેકોરોના લક્ષણ નજરે ચડ્યા હતા અને તૂર્ત જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તથા તેમનો આજે સવારે પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે અને હવે આગામી સમયમાં તેમને સારવાર આપવામાં આવશે.
બીજી તરફ પાટકર છેલ્લી કેબીનેટ મીટીંગમાં પણ હાજર હતા અને ત્યારબાદ મુખ્યમંત્રીના આવાસે યોજાયેલી કેટલીક બેઠકમાં પણ તેઓ હાજર હતાં. અને તેથી હવે મુખ્યમંત્રી આવાસને પણ સેનીટાઈઝ કરવાની તાકીદે સૂચના અપાઈ છે ઉપરાંત તેમના છેલ્લા છ દિવસની તમામ મુલાકાતો અંગે પણ યાદી તૈયાર કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે જણાવ્યું હતું કે પાટકરના કોન્ટેક્ટ ટ્રેસીંગની તપાસ થશે અને જરુર પડે કોરોના સંબંદમાં જે કાંઇ ગાઈડલાઈન છે તેનો અમલ કરાશે. જો કે મુખ્યમંત્રી કે અન્ય કોઇ મંત્રીઓને ક્વોરેન્ટાઈન થવું પડે તે અંગે સ્પષ્ટતા થઈ નથી પરંતુ તેઓ મુખ્યમંત્રી આવાસે ગયા હતા તે જ મહત્વનું છે.
અગાઉના પણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથેની મુલાકાત બાદ તેઓ કોરોના પોઝીટીવ જાહેર થતાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતનાં ટોચનાં મંત્રીઓએ ક્વોરેન્ટાઈન થવું પડ્યું હતું અને પાટકરમાં કઇ રીતે તબીબી સલાહ મળે છે તેના પર આધાર છે.
રાજ્યમાં કોંગ્રેસના અગ્રણી અને હાલમાં જ રાજ્યસભા ચૂંટણી લડનાર ભરતસિંહ સોલંકી કોરોના પોઝીટીવ થયા બાદ છેલ્લા એક સપ્તાહથી તેઓ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્યાં તેમની હાલત નાજુક ગણવામાં આવે છે તો બીજી તરફ બે ધારાસભ્યો વી.ડી. ઝાલાવડીયા (સુરત-કામરેજ) અને ગેનીબેન ઠાકોર (વાવ) પણ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેથી રાજકીય વર્તુળોમાં ચિંતા વધી ગઇ છે.