ગુજરાતમાં વર્ષોથી પાટીદારો ભાજપ સમર્થક જ રહ્યા છે.જેના લીધે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત ભાજપમાં ઉચ્ચ હોદ્દા એટલે કે પ્રદેશ પ્રમુખ અથવા તો મુખ્યમંત્રી પદે પટેલ પાવર જ ચાલ્યો છે. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ બદલાયેલા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પાટીદારને બદલે વિજય રૂપાણીને મૂકવામાં આવ્યા હતા.પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર એવા જીતુ વાઘાણીને રાખવામાં આવ્યા હતા.પરંતુ ભાજપ હાઈ કમાન્ડે એકાએક ગુજરાત ભાજપમાંથી પાટીદાર પાવર ઘટાડી દઈને એક બિન ગુજરાતી સી.આર. પાટીલને નવા પ્રદેશ પ્રમુખ બનાવતા ભાજપના પ્રદેશ નેતાઓમાં ખૂબ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે.
જરાત ભાજપના પ્રમુખ પદે પાટીદાર જ આવશે તેવી વહેતી થયેલી વાતો વચ્ચે ભાજપ હાઈ કમાન્ડે પટેલના બદલે પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવીને ગુજરાત ભાજપને ચોંકાવી દીધું છે.એટલું જ નહીં ગુજરાતમાં સત્તાધારી ભાજપના મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ તરીકે હવે પાટીદાર પાવર પૂરો કરી દીધો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
સામાન્ય રીતે એવું કહેવાતું હતું કે, કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને મૂક્યા બાદ ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પટેલ જશે.આ ઉપરાંત ટૂંક સમયમાં રાજ્યની મહાનગરપાલિકા તથા જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે.ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પાટીદાર મૂકે તો ભાજપને પટેલ મતોનો ફરી એકવાર ફાયદો મળી શકે તેમ હતું.
જન્મે મહારાષ્ટ્રીયન પણ સુરતમાં આઈ.ટી.આઈ.ફીટર સુધીનું શિક્ષણ મેળવનારા સીઆર પાટીલ પોલીસ ખાતામાંથી નીકળ્યા.1989માં સીઆર પાટલીની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ.એ વખતે કાશીરામ રાણાનો સુરતમાં દબદબો હતો. તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવતા હતાં.સીઆર તેમની સાથે જોડાઈ ગયા અને કાશીરામ રાણાના ખાસ વિશ્વાસુ બની ગયા હતાં.કાશીરામ રાણા પાસેથી જ તેઓએ સંગઠનના ગુણો શીખ્યા હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે.
સીઆર પાટીલ રાજકારણમાં તો ઘણા સમયથી આવી ગયા હતાં. પરંતુ પહેલી ચૂંટણી તેઓ નવસારી લોકસભાની બેઠક અલગ થઈ ત્યારે 2009માં લડ્યા અને જંગી બહુમતિથી વિજેતા બન્યા હતાં.નવસારી બેઠક પરથી તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વિજેતા બની રહ્યાં છે.દક્ષિણ ગુજરાતમાં તેઓ ભારે દબદબો ધરાવે છે.આ દબદબાએ જ તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘પ્રદેશ અધ્યક્ષ તરીકે મારૂં કામ દરેક કાર્યકર્તાને સાથે લઈને ચાલવાનું છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો તે બદલ તેમનો આભાર.ભાજપનો દરેક કાર્યકર્તા મહત્ત્વનો છે.દરેક કાર્યકર્તા ખભેથી ખભો મિલાવી કામ કરશે.હાલમાં કોરોના મહામારી મોટો પડકાર છે. સરકારની કામગીરી સાથે ભાજપના સંગઠનની કામગીરી પણ કોરોનાને ડામવાની છે.’


