નવી દિલ્હી, તા. 5 ઑગષ્ટ 2020 બુધવાર
અયોધ્યામાં આજે ગણતરીની પળોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર બંધાવાનું છે એ ભૂમિનું પૂજન કરવાના છે એવી મંગળ પળોએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે એક સરસ વાત રજૂ કરી હતી.તેમણે કહ્યું કે ભારતીય બંધારણની મૂળ પ્રતમાં મૂળભૂત અધિકારો વિશેના પ્રકરણમાં રાવણવધ પછી અયોઘ્યા પાછા ફરી રહેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ,સીતામાતા અને લક્ષ્મણનો સ્કેચ છે.આમ ભારતીય બંધારણ પણ પરોક્ષ રીતે ભગવાન રામનો સ્વીકાર કરે છે.
યોગાનુયોગે આજે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બંધારણનો હવાલો આપીને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરે એ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વડા પ્રધાનને હોદ્દાના સોગન લીધા હતા એ યાદ કરાવ્યા હતા.
એ સોગનવિધિમાં પેાતે સેક્યુલર રહેશે એવું વિધાન સોગન લેનારે કરવાનું હોય છે.ઓવૈસીએ એવો દાવો કર્યો હતો કે તમે ભૂમિપૂજન કરીને બંધાણની જોગવાઇનો અને તમેં લીધેલા સોગનનો ભંગ કરી રહ્યા છો.રવિશંકર પ્રસાદે રજૂ કરેલી બંધારણની તસવીર ઓવૈસી જેવા વિઘ્નસંતોષીઓને જવાબરૂપ ગણાય.
દરમિયાન,ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે અયોધ્યાવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામના પાઠવી હતી.આખીય અયોધ્યા નગરી છેલ્લા 48 કલાકથી નવવધૂની જેમ સજીધજી હતી.