રાજસ્થાનમાં હાલમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ધારાસભ્યોને તોડફોડથી બચવા માટે મોટી કાર્યવાહી કરી છે.14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભાનું સૌથી મહત્વપૂર્ણ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.તેના પહેલા જ બીજેપીએ પોતાના તમામ ધારાસભ્યોને તૂટતા બચાવવાની કોશિશ માટે માસ્ટર પ્લાન ઘડી નાંખ્યો છે.રાજસ્થાનમાં સચિન પાયલોટે પોતાના જ પક્ષ સામે મોરચો માંડતા રાજસ્થાનના રાજકારણમાં ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે.રાજસ્થાનના ભાજપ સમર્થક ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે.હાલ એવી માહિતી મળી રહી છે કે ભાજપના ધારાસભ્યો સાથે સચિન પાયલોટ જૂથના કેટલાંક ધારાસભ્યો પણ છે.રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને અમદાવાદના બાવળાના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યા છે.
રાજસ્થાનના ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાથી અનેક રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઈ જવામાં નહિ આવે.જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યાં પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે.રાજકીય હેતુ પાર ન પડે ત્યા સુધી તમામને અહીં રાખવામાં આવશે.એક રિપોર્ટનું માનીએ તો,ઉદયપુરના 12 ધારાસભ્યોને ગુજરાત મોકલવામાં આવ્યા છે.
સાથે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્યો જાતે ગુજરાતમાં ફરવા માટે આવ્યા છે અને શનિવારે સોમનાથ મંદિરમાં દર્શન કરશે.પરંતુ સૂત્રોનું માનીએ તો રાજસ્થાન ભાજપના 12 ધારાસ્યોને પાર્ટીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે મોકલ્યા છે.આ ધારાસભ્ય 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે.આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે,ભાજપ પોતાના અમુક ધારાસભ્યોને મધ્યપ્રદેશમાં પણ શિફ્ટ કરી શકે છે.
પાર્ટી સૂત્રોના મતે, ભારતીય જનતા પાર્ટી બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યો કોંગ્રેસમાં વિલય થવા પર હાઈકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીના નિર્ણયની રાહ જોશે. જો કોંગ્રેસ તરફી નિર્ણય આવશે તો ભારતીય જનતા પાર્ટી પોતાના ધારાસભ્યોને નજરકેદ રાખશે,કારણ કે એવી આશંકા સેવવામાં આવી રહી છે કે કોંગ્રેસ બીજેપીના ધારાસભ્યોને ખરીદીને પોતાના તરફ કરી શકે છે.
બીજી બાજુ, દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધર રાજેએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કરવામાં આવ્યા હોવા પર અલગ અલગ ધારણાઓ કરવામાં આવી રહી છે. તેમાંથી સૌથી વધુ ધારાસભ્ય વસુંધરા રાજેના સમર્થક છે.જો કે,આ વાતની પુષ્ટિ થઈ નથી,પરંતુ વસુંધરાના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે વસુંધરા રાજેએ જેપી નડ્ડા સાથે પાર્ટીની કાર્યશૈલીને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
વસુંધરા રાજેના જૂથનું માનીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા સાથે વસુંધરા રાજેએ સ્પષ્ટ કહી દીધું છે કે,અમે પાર્ટીની સાથે છીએ.પરંતુ સ્વાભિમાન સાથે કોઈ સમજૂતી નહીં થાય.સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે વસુંધરા રાજે અત્યારે 12 ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ રહેશે અને 13 તારીખે જયપુર પાછા ફરશે.જો કે,ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ જણાવ્યું કે,બીજેપી પોતાના ધારાસભ્યોને નજરકેદ કરી રહી નથી,પરંતુ જરૂર પડશે તો વિધાનસભા પહેલા પ્રશિક્ષણના નામે ધારાસભ્યોને જયપુરમાં બોલાવવામાં આવી શકે છે.


