લદ્દાખ સરહદે ચીન સાથે સંઘર્ષ વચ્ચે ભારત પડોશી દેશ સાથે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યું છે.ચીનનો સામનો કરવા માટે ભારતે ફ્રાન્સ પાસેથી વહેલી તકે પાંચ Rafale વિમાનો પણ મેળવી લીધા છે.કેન્દ્ર સરકાર સૈન્ય ઈક્વિપમેન્ટ અપગ્રેડ કરી રહી છે અને હવાઈ દળને મજબૂત બનાવવા માટે આધુનિક લડાકુ એરક્રાફ્ટ પણ ખરીદી રહી છે.
Rafale ઉડાવવા ટ્રેઈન્ડ પાયલટની અછત
ફ્રાન્સ પાસેથી નવા ખરીદવામાં આવેલા Rafale જેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લીની હાજરી સાથે હાઈ પ્રોફાઈલ સમારંભમાં અંબાલા ખાતે એરફોર્સ સ્ટેશન પર હવાઈદળમાં સમાવેશ માટે તૈયાર છે.જોકે,આવા સમયે મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે ભારતીય હવાઈ દળમાં Rafale જેવા આધુનિક વિમાનો ઉડાવવા માટે ટ્રેઈન્ડ પાઈલટ્સની અછત સર્જાઈ છે.
એરફોર્સમાં છેલ્લા 10 વર્ષમાં 798 પાઈલટના રાજીનામા
ભારતે હવાઈ દળમાં વ્યાપક સુધારાની પ્રક્રિયાના ભાગરૂપે અત્યાધુનિક ફાઈટર જેટ Rafale ઉપરાંત મિગ-29 અને સુખોઈ-30નો સમાવેશ કરવાની તૈયારીઓ હાથ ધરી છે.આવા સમયે હવાઈદળમાંથી છેલ્લા 10 વર્ષમાં 798 પાઈલટ્સે રાજીનામા આપી દીધા છે અને તેમાંથી 289 પાઈલટ્સને ખાનગી એરલાઈન્સમાં વિમાન ઉડાવવા માટે એનઓસી પણ અપાયા હતા તેમ એક આરટીઆઈના જવાબમાં હવાઈ દળે જણાવ્યું છે.
આરટીઆઇમાં આવી માહિતી સામે
આ આરટીઆઈમાંથી ઉપલબ્ધ વિગતો મુજબ ભારતીય હવાઈ દળ માટે વર્ષ 2016 અને 2017 સૌથી ખરાબ રહ્યા છે,જેમાં અનુક્રમે 100 અને 114 પાઈલટ્સે રાજીનામા આપ્યા હતા.વર્ષ 2015માં માત્ર 37 પાઈલટ્સે સુપર એન્યુએશન પહેલાં એરફોર્સની નોકરી છોડી દીધી હતી.ભારતીય હવાઈદળમાં પ્રત્યેક વર્ષે અંદાજે 80 પાઈલટ્સ રાજીનામા આપે છે.પરિણામે હવાઈ દળ ટ્રેઈન્ડ પાઈલટ્સની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે.
એરફોર્સમાં 376 પાઈલટ્સની અછત
સરકારે 1લી ફેબ્રુઆરી 2018ના રોજ રાજ્યસભામાં જણાવ્યું હતું કે,હવાઈદળમાં પાઈલટ્સના 4,231 મંજૂર પદોની સરખામણીમાં 3,855 પાઈલ્ટસ કામ કરી રહ્યા છે. અંદાજે 376 પાઈલટ્સની અછત હવાઈદળની તૈયારીઓ પર પણ અસર કરી શકે છે. હવાઈદળની નોકરી છોડી રહેલા એક તૃતિયાંશ પાઈલટ્સ ખાનગી કોમર્શિયલ એરલાઈન્સમાં જોડાય છે.કેટલાક અહેવાલ મુજબ મોટાભાગના પાઈલટ્સ 20 વર્ષની નોકરી પછી રાજીનામુ આપે છે,જેથી તેઓ પેન્શનને પાત્ર થઈ શકે છે.
એરફોર્સ છોડી પાયલટ્સ જોડાઈ કોમર્શિયલ એરલાઇન્સમાં
આ વર્ષે ફેબ્રુઆરી એક અગ્રણી અંગ્રેજી દૈનિકે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતીય હવાઈ દળ પાઈલટ્સને રાજીનામુ આપતા અટકાવવાની બાબતો પર કામ કરી રહ્યું છે.પાઈલટ્સ વધુ સારા પગાર અને ભથ્થા સહિત અન્ય કેટલાક કારણોસર પણ ખાનગી કોમર્શિયલ એરલાઈન્સમાં જોડાઈ રહ્યા છે.
પાયલટ્સને તૈયાર કરવા થાય છે વ્યાપક ખર્ચ
નિષ્ણાતોનું માનવું છે કે હવાઈદળ તેના ટ્રેઈન્ડ પાઈલટ્સને જાળવી રાખે તે ખૂબ જ મહત્વનું છે.એક પાઈલટ વિવિધ વિમાનોમાં 250થી 300 કલાકની ઉડ્ડયન તાલિમ મેળવ્યા પછી ઓપરેશનલ કામગીરીમાં જોડાય છે.એક પાઈલટ્સને તૈયાર કરવા માટે સરકાર વ્યાપક ખર્ચ કરી રહી છે ત્યારે તાલિમબદ્ધ પાઈલટ્સને જવા દેવા સરકારને પોષાઈ શકે નહીં.

