શિરોમણી અકાલી દળ (અંગ્રેજીમાં SAD એટલે કે વ્યથિત-દુઃખી)ના નેતા સુખબીર સિંઘ બાદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે NDA તો ફક્ત નામનું હતું.નરેન્દ્ર મોદીએ છેલ્લાં દસ વર્ષમાં NDAની એકપણ બેઠક સુદ્ધાં બોલાવી નહોતી.
NDAએ ગુમાવી વિશ્વસનીયતા
કૃષિ ખરડાના મુદ્દે અકાલી દળે NDA સાથે છેડો ફાડ્યો હતો અને તેમના કેન્દ્ર સરકારમાંના એકમાત્ર પ્રધાન સિમરત કૌરે પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. બાદલે ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે NDA પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેઠું હતું. એ ફક્ત નામનું ગઠબંધન હતું.
NDA ફક્ત નામનું રહ્યું
છેલ્લાં આઠ દસ વર્ષમાં એનડીએ ફક્ત નામનું રહ્યું હતું. એમાં કશું જ નહોતું બચ્યું, કોઇ ઘટક પક્ષ સાથે નેતાઓએ ક્યારેય ન વાત કરી ન કોઇ યોજના ઘડી ન કોઇ બેઠક બોલાવી.મને એવો એક્કે દિવસ યાદ નથી જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇ મુદ્દાની વાત કરવા એનડીએની એકાદી બેઠક યોજી હોય.એમના મનમાં શું ચાલી રહ્યું છે એ મોદીએ ક્યારેય કોઇને જાણવા દીધું નથી. તેમણે કહ્યું કે કૃષિ ખરડો ઘડતી વખતે પણ એનડીએના એક્કે ઘટક પક્ષને વિશ્વાસમાં લેવાયો નહોતો.
ભાજપને દરેક મુદ્દે સાથ આપ્યો: બાદલ
સુખબીરે વધુમાં કહ્યું કે અટલ બિહારી વાજપેયી હતા ત્યારથી અમારા એનડીએ સાથે સુમેળભર્યા સંબંધો હતા.મારા પિતા તો એનડીએના સ્થાપક સભ્ય હતા. અમે સદૈવ એનડીએને સાથ આપ્યો. આજે અમે સ્થાપેલું એનડીએ રહ્યું નથી.મારા પિતા પ્રકાશ સિંઘ બાદલે ચલાવ્યું એ રીતે ગઠબંધન ચાલવું જોઇએ.અમે પંજાબમાં પણ ભાજપને દરેક મુદ્દે સાથ આપ્યો હતો.પરંતુ કૃષિ ખરડો ઘડતી વખતે અમને અંધારામાં રાખવામાં આવ્યા.તેમણે કહ્યું કે પંજાબમાં અમારી બહુમતી છે અને ભાજપની લઘુમતી છે છતાં અમે જ્યારે જ્યારે રાજ્યપાલને કોઇ મુદ્દો આપીએ ત્યારે ભાજપને સદૈવ સાથે રાખ્યો હતો.