– આમ આદમી પાર્ટીનો કોર્પોરેટેર હતો
નવી દિલ્હી તા.23 : આપના ભૂતપૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈનની જામીન અરજી દિલ્હીની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને જજશ્રી વિનોદ યાદવે એવી ટકોર કરી હતી કે તમારું ઘર તોફાનીઓનો અડ્ડો બની ગયું હતું.
આ વર્ષના આરંભમાં પાટનગર નવી દિલ્હીમાં નાગરિકતા અંગેના નવા કાયદા (સીએએ) અને નાગરિકતા અંગેના રજિસ્ટરના વિરોધમાં શાહીન બાગ વિસ્તારમાં વિરોધી દેખાવો થઇ રહ્યા હતા.ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં ભીષણ તોફાનો થયાં હતાં જેમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોના એક અધિકારી સહિત કેટલાક લોકોએ જાન ગુમાવ્યા હતા.
આ તોફાનોમાં તાહિર હુસૈને બહુ મોટો ભાગ ભજવ્યો હતો એવો આક્ષેપ પોલીસે કર્યો હતો.તાહિર હુસૈનના મકાનના ધાબા પરથી સંખ્યાબંધ પેટ્રોલ બોમ્બ,પથ્થરોના ઢગલા અને બીજાં હથિયારો મળ્યાં હતાં.તોફાનોની વિડિયો ક્લીપમાં એ સ્પષ્ટપણે જોઇ શકાતું હતું કે તાહિર હુસૈનના મકાનના ધાબા પરથી હુમલા થઇ રહ્યા હતા. આ માણસ આમ આદમી પક્ષનો કોર્પોરેટર હતો.પોલીસે તોફાનોમાં સંડોવાયેલા કે તોફાનોનું ષડ્યંત્ર ઘડનારા જે થોડાક લોકોની ધરપકડ કરી હતી એમાં તાહિર હુસૈનનો પણ સમાવેશ હતો.
તાહિરે જામીન માટે અરજી કરી હતી.એ ફગાવી દેતાં જસ્ટિસ વિનોદ યાદવે એવી ટકોર કરી હતી કે આ તોફાનો 1847માં દેશના ભાગલા પછી થયેલાં તોફાનોની યાદ તાજી કરાવે એવાં હતાં.તાહિર હૂસૈને પોતે કોર્પોરેટર હોવાના જોરે તોફાનોનું આયોજન કરવાના અને એમાં ભાગ લેવાના કાર્યમાં વધુ પડતું પ્રદાન કર્યું હતું.એને જામીન આપી શકાય નહીં.એ સાક્ષીઓને ધાકધમકી દ્વારા જુબાની આપતાં અટકાવી શકે છે..

