ગુજરાત BJP અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જૂન મોઢવડિયા વચ્ચે જુબાની જંગ ચાલી રહી છે.મોઢવડિયાએ પાટીલને દાગી નેતા ગણાવ્યા તો પાટીલે તેમના પર 10 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરવાની ચેતવણી આપી હતી.ગુજરાતમાં આઠ વિધાનસભા સીટો પર 3 નવેમ્બરે પેટાચૂંટણી માટે BJP તેમજ કોંગ્રેસે પૂરી તાકાત લગાવી દીધી છે,બંને પક્ષોના નેતા એકબીજા પર જુબાની તીર ચલાવી રહ્યા છે.કોંગ્રેસ નેતા અર્જુન મોઢવડિયાએ BJPના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને દાગી નેતા ગણાવતા કહ્યું કે,2014ની લોકસભા ચૂંટણીમાં પાટીલે પોતે ચૂંટણી આયોગને સોંપેલા પોતાના શપથપત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે,તેમની વિરુદ્ધ 107 કેસો વિચારાધીન છે.
તેના જવાબમાં પાટીલે મોઢવડિયાને એ સાબિત કરવાનો પડકાર આપતા કહ્યું છે કે,આજની તારીખમાં તેમની વિરુદ્ધ એક પણ કેસ નથી. હાલમાં જ દાગી નેતાઓ વિરુદ્ધ કેસોની દરરોજ સુનાવણીના નિર્દેશની સાથે કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં તેમનું નામ નથી.પાટીલે મોઢવડિયાને સાર્વજનિકરીતે માફી માગવાની વાત કહી છે, માફી ના માગવા પર તેમણે 10 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ કરવાની ચેતવણી આપી છે.ઉલ્લેખનીય છે કે,સીઆર પાટીલે વર્ષ 2014માં ચૂંટણી આયોગને સોંપેલા પોતાના નામાંકન પત્રની સાથે શપથપત્રમાં એ ઉલ્લેખ કર્યો હતો કે,તેમની વિરુદ્ધ 107 કાયદાકીય કેસો ચાલી રહ્યા છે,જોકે પાટીલે એ દાવો કર્યો છે કે,આજની તારીખમાં તેમની વિરુદ્ધ એક પણ ફોજદારી કેસ નથી ચાલી રહ્યો.
દરમિયાન ગુજરાતમાં પેટાચૂંટણીના પ્રચારને લઈને સામાજિક ન્યાય મંત્રી રમણ પાટકરે કહ્યું કે,વિપક્ષના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ મળે છે,આથી વિકાસ કરવો હોય તો સત્તા પક્ષના ધારાસભ્યને જ મત આપજો.પાટકર BJPના ઉમેદવાર જીતુ ચૌધરીની ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા.તેમણે કહ્યું કે,જીતુ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે કામ કરવું મુશ્કેલ હતું,કારણ કે વિપક્ષના ધારાસભ્યોને ઓછી ગ્રાન્ટ મળે છે,પરંતુ હવે તેઓ કપરાડામાં સરળતાથી વિકાસ કાર્ય કરાવી શકશે.કોંગ્રેસે આ નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે,રાજ્ય સરકારના મંત્રી પોતે એ વાત સ્વીકારી રહ્યા છે કે,ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોને વિકાસ માટે ઓછી ગ્રાન્ટ આપવામાં આવે છે.
તો બીજી તરફ,ગુજરાતના CM વિજય રૂપાણીએ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું હતું કે,કોંગ્રેસને વિકાસમાં નહીં વિરોધમાં જ રસ હોય છે.કોંગ્રેસ દેશભરમાં તૂટી રહી છે,પેટાચૂંટણી બાદ ફરી એકવાર કોંગ્રેસ ગુજરાતમાં તૂટશે.ગુજરાતના CM વિજય રૂપાણીએ કહ્યું કે,કોંગ્રેસ ભાગવા પાડો અને રાજ કરોની નીતિથી ચાલે છે.ગુજરાતમાં 8 સીટમાંથી BJPને જે પણ સીટ મળશે તે પાર્ટી માટે નફો જ હશે.


