નવી દિલ્હી, તા. 20. : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના કાળમાં દેશની આર્થિક સ્થિતિને લઈને ફરી એક વખત મોદી સરકારને સાણસામાં લીધી છે.
રાહુલ ગાંધીએ કહ્યુ છે કે,પીએમ મોદીએ અગાઉ જે લોકડાઉન લાગુ કર્યુ હતુ તે તઘલખી નિર્ણય હતો અને કરોડો મજૂરોને તેના કારણે રસ્તા પર આવી જવુ પડ્યુ હતુ. સાથે સાથે રાહુલે મનરેગા મજૂરોને પોતાની મજૂરીના પૈસા લેવા માટે પણ બેન્કોના ચક્કર કાપવા પડતા હોવાનુ કહ્યુ છે.
રાહુલ ગાંધીએ એક સર્વેનો હવાલો આપીને કહ્યુ હતુ કે, મનરેગા મજૂરો બેન્કોના ધક્કા ખાઈ રહ્યા છે અને તે પણ પોતાનુ વેતન મેળવવા માટે.પહેલા મોદી સરકારે લોકડાઉન કર્યુ અને એ પછી મજૂરોને રસ્તા પર લઈ આવ્યા અને હવે તેમની મનરેગાની કમાણી પણ બેન્કમાંથી તેઓ મેળવી શકતા નથી તેવી સ્થિતિ આ સરકારે સર્જી દીધી છે.મોદી સરકાર ખાલી વાતો કરવા માટેની સરકાર છે અને ગરીબોના અધિકારો પર તરાપ મારી રહી છે.
ઉલ્લેખનીય છે કે,કોરોના કાળમાં શહેરોમાંથી વતન પાછા ફરેલા મજૂરોએ મોટી સંખ્યામાં ગામડાઓમાં પોતાની આજીવીકા માટે મનરેગા હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.કોરોના કાળમાં ગ્રામીણ ઈકોનોમીને મનરેગા સ્કીમથી બહુ મદદ મળી છે.છેલ્લા ચાર મહિનામાં મનરેગા હેઠળ કામ માટે રજિસ્ટ્રેશન કરાવનારાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે.


