કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે.ખેડૂતોએ 8મી ભારત બંધનું એલાન આપ્યું છે જેને ગુજરાતના 17થી વધુ ખેડૂત સંગઠનોએ સમર્થન જાહેર કર્યુ છે.એટલું જ નહીં,ભારત બંધના દિવસે હાઇવે ચક્કાજામ કરી દેખાવો કરવા નક્કી કર્યું છે.ભારત બંધની ગુજરાતમાં ય અસર થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.
કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર આંદોલન કર્યુ છે.દસથી વધુ દિવસ થયા બાદ પણ ખેડૂતો ટસથી મસ થવા તૈયાર નથી.સરકાર સાથેની બેઠક બાદ પણ હજુ કોઇ નિરાકરણ આવી શક્યુ નથી.
8મીએ ભારત બંધનું એલાન અપાયુ છે ત્યારે રવિવારે ડ્રાઇવઇન વિસ્તારમાં ખેડૂત આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં ભારત બંધને સમર્થન આપી જોરદાર વિરોધ કરવા નક્કી કરાયુ હતું.બંધ દરમિયાન ખેડૂતો હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કરશે અને દેખાવો કરશે.આ બેઠકમાં ગુજરાતભરમાઁથી 40થી વધુ ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી.
આ બેઠકમાં સર્વાનુમતે એવુ ય નક્કી કરાયુ હતું કે,દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં 11મી ડિસેમ્બરે પાટનગર ગાંધીનગરમાં કિસાન પાર્લામેન્ટનુ આયોજન કરાયુ છે જેમાં ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરાશે.આ ઉપરાંત 12 ડિસેમ્બર પછી તમામ જિલ્લાઓમાંથી તબક્કાવાર ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચશે.ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધી ગુજરાતમાંથી 500થી વધુ ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યાં છે.
ખેડૂત આગેવાનોએ એવો દાવો કર્યો હતોકે, ભારત બંધને સીટુ,આઇટુક,ઇન્ટુક,કેમિકલ મજદૂર સંઘ,મજદૂર સભા સહિતના 12 યુનિયનોએ પણ ટેકો જાહેર કર્યો છે.સાથે સાથે સીપીએમ,સીપીઆઇ અને આમ આદમી પાર્ટી પણ બંધને સમર્થન આપ્યું છે.આમ,ગુજરાતમાં ય ભારત બંધની અસર વર્તાય તેવી શક્યતા છે.
ભારત બંધને કોંગ્રેસનો ટેકો,બંધને સફળતા મળે તે માટે ધારાસભ્યોને સૂચના અપાઇ
કૃષિ કાયદો પાછો ખેચો તેવી માંગણી સાથે ખેડૂતોએ ભારત બંધનો કોલ આપ્યો છે જેને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું કે,મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી છે.આ કૃષિ કાયદાથી ખેડૂતોને પારાવાર નુકશાન પહોચશે જયારે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ભરપુર લાભ થવાનો છે.
ખેડૂતોમાં આજે આક્રોશ છે ત્યારે સરકારે ખેડૂતોની માંગ સ્વિકારીને કૃષિ કાયદો રદ કરવાની જરૂર છે. ભારત બંધને કોંગ્રેસનો ટેકો છે.ભારત બંધના દિવસે હાઇવે જામ કરવા અને દેખાવો કરવા ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે.બંધને સફળતા મળે તે માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે.આ તરફ પોલીસે આંદોલનકારી ખેડૂતો-કોંગ્રેસના નેતાઓ પર અત્યારથી નજર રાખી છે.


