નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર : દેશમાં છેલ્લા 12 દિવસથી ખેડૂતો કૃષિ બિલનો સતત વિરોધ કરી રહ્યા છે,ત્યારે બીજી તરફ આજે આઠમી તારીખે મંગળવારે ખેડૂતોએ સમગ્ર ભારત બંધનું એલાન કર્યું છે,જેને 10 ટ્રેડ યુનિયન, 15 જેટલા રાજકીય પક્ષો અને હવે બોલિવૂડ કલાકારો, ખેલાડીઓ, સાહિત્યકારો, વ્યાપારી સંગઠનો, પેટ્રોલ પંપ એસોસિએશન, રિક્ષા ચાલક સંગઠનો સહિતનાનું સમર્થન મળી રહ્યું છે.
મંગળવારે ખેડૂતોના દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને 13મો દિવસ થશે, જ્યારે ભારત બંધને પગલે જનજીવન પર અસર જોવા મળી શકે છે.કેમ કે ઉત્તર ભારતમાં 95 લાખ ટ્રકો ધરાવતા અસોસિએશને પણ ટેકો આપ્યો છે તેથી સપ્લાય ઠપ થઇ શકે છે.
બિહાર
ભારત બંધને ધ્યાનમાં રાખતા બિહાર સરકારે તમામ SPને આદેશ આપ્યો છે કે જો પ્રદર્શનકારી કાનૂન-વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરે તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવે.
ઓડિશા
ડાબેરી પાર્ટીઓ, ટ્રેડ યૂનિયનો અને ખેડૂત સંગઠનોએ સાથે મળી ભારત બંધમાં જોડાયા હતા. તેઓએ ભુવનેશ્વર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોના વ્યવહારમાં અડચણ ઊભી કરીને અનેક ટ્રેનો રોકી દીધી હતી.
મહારાષ્ટ્ર
સ્વામિમાની શેતકારી સંગઠને ભારત બંધ રેલ રોકો દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું. તેની સાથે જ બુલઢાણાના મલકાપુરમાં આજે એક ટ્રેન રોકવામાં આવી. બાદમાં તેમને પોલીસે રેલવે ટ્રેસ પરથી હટાવ્યા અને અટકાયત કરી લીધી.
પ્રયાગરાજમાં રોકવામાં આવી ટ્રેન
યુપીના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી. ભારત બંધ દરમિયાન પ્રદર્શન કરી રહેલા સપા કાર્યકર્તાઓએ બુંદેલખંડ એક્સપ્રેસ ટ્રેનને રોકી દીધી અને સૂત્રોચ્ચાર કર્યા.
ભારત બંધની લખનૌમાં અસર
ખેડૂતોના ભારત બંધને જોતા ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગ્રામીણ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. લખનૌ શહેર સિવાય ગ્રામીણ વિસ્તારોમાં પણ પાંચ અથવા આનાથી વધારે વ્યક્તિઓ દ્વારા જુલૂસ, ધરણા-પ્રદર્શન, રેલી અને ઘેરાવા પર પ્રતિબંધ રહેશે.

