– મુસ્લિમો તો બચાવ કરી રહ્યા હતા
નવી દિલ્હી તા.10 : નાગરિકો અંગેના નવા કાયદા (સીએએ) અને નાગરિકોના રજિસ્ટર (એનઆરસી)ના વિરોધમાં આ વર્ષના ફેબ્રુઆરીમાં પાટનગર નવી દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં થયેલાં હિંસક તોફાનો ગૃહ પ્રધાન અમિત શાહે કરાવ્યાં હતાં.
માર્ક્સવાદી પક્ષે રજૂ કરેલા ‘ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ’માં આવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટનો સાર એવો હતો કે તમામ હિંસક હુમલા હિંદુઓએ કર્યા હતા.મુસ્લિમો તો પોતાનો બચાવ કરવામાં વ્યસ્ત હતા.
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે હિંસાને વધુ ભડકાવવામાં અને પોલીસ તપાસમાં પક્ષપાત કરવામાં અમિત શાહ જવાબદાર હતા.આ રિપોર્ટને માર્ક્સવાદી પક્ષે ‘ઇશાન દિલ્હીમાં હિંસક તોફાનો- ફેબ્રુઆરી 2020’ ટાઇટલ આપ્યું હતું.
રિપોર્ટમાં એવું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું કે હુલ્લડ કે તોફાનમાં તો બે પક્ષો સામસામે સંડોવાયેલા હોય.દિલ્હીના હિંસક બનાવો એ પ્રકારના હુલ્લડ નહોતા.એમાં તો અમિત શાહના ઇશારે હિન્દુઓ હુમલા કરતા હતા અને મુસ્લિમો પોતાના બચાવ માટે હવાતિયાં મારતા હતા.પોલીસે હિન્દુત્વવાદી ભીડને પીઠબળ આપ્યું હતું.આ બધું ગૃહ પ્રધાન અમિત શાહના ઇશારે થયું હતું એવો આક્ષેપ પણ આ રિપોર્ટમાં કરાયો હતો.
દિલ્હીનાં તોફાનોમાં કુલ 53 વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા.એમાં 40 મુસ્લિમો હતા અને 13 હિન્દુઓ હતા.રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે માર્ચની 11મીએ અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે હું દિલ્હી પોલીસના વડા અધિકારીઓના સંપર્કમાં છું અને પરિસ્થિતિનો ક્યાસ કાઢી રહ્યો છું.રિપોર્ટમાં એવો સવાલ કરવામાં આવ્યો હતો કે 24 ફેબ્રુઆરીએ હિંસા ફાટી નીકળી ત્યારે તરત કર્ફ્યૂ કેમ લાદવામાં નહોતો આવ્યો એ સમજાતું નથી.

