પોરબંદર : જૂનાગઢમાં લાલઢોરીની કિંમતી સરકારી જમીન પચાવી પાડવા અંગે મોરારીબાપુ સહીતના જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધવા પોરબંદરના એડવોકેટ એક્ટીવીસ્ટે જુનાગઢ કલેકટર સમક્ષ રજૂઆત કરી છે
પોરબંદરના એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ભવનાથ લાલઢોરી ખાતેની આ જગ્યા વાનસ્પતિક વિવિધતા,આંબાની જુદીજુદી જાતોની જાળવણી તથા વૃક્ષોની જાળવણી તથા બોટાનીકલ ગાર્ડન તથા સંશોધનકારો તથા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લાલઢોરીમાં ૧૨-૬૦-૩૬ હેક્ટર જમીન સર્વે નં.૨૫/૧ આવેલી છે.આ જગ્યામાં વર્ષોથી મોરારીબાપુ તથા રાજકોટના અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. જે. ચાંદ્રાએ ગેરકાયદે કબ્જો કરી ગેરકાયદે બાંધકામ પણ કર્યુ છે.હાલમાં કથાકાર તથા તેમના સેવકો કાયમી તેમના મહેમાનો માટે ગેસ્ટહાઉસ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.જેમાં સાધન કુટિર માટેની બે રૂમ,રસોડુ,અટેચ બાથરૂમ વગેરેનું દબાણ હોવાનો આક્ષેપ કર્યો છે.અતુલ ચાંદ્રા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૫/૭/૨૦૦૪ ના રોજ એક પત્રથી કૃષિ યુનિવર્સિટી-જૂનાગઢ પાસે લાલઢોરી જગ્યામાં સાધના કુટિર બનાવવાની મંજુરી માંગી હતી જેમાં ટેમ્પરરી ફેલ્ડીંગ પ્રી કાસ્ટના રૂમોની મંજુરી માંગી હતી પરંતુ હાલમાં તેના દ્વારા બાંધકામ કરાયુ છે.આ રૂમોનો ઉપયોગ સેવકો,ગેસ્ટ હાઉસ તરીકે કરે છે,આ જગ્યા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે હોવા છતાં પણ ત્યાં વિદ્યાર્થીઓને જવા ઉપર પ્રતિબંધ છે.ત્યાં કોઈ સંશોધન કાર્ય કરાતું નથી.હાલમાં ત્યાં તમામ કબ્જો મોરારીબાપુ પાસે છે તથા સરકારમાં મોટું પીઠબળ ધરાવતા હોવાથી ગેરકાયદે કબ્જો ખાલી કરતા ન હોવાથી તો કલેકટર દ્વારા કાર્યવાહી કરવામાં નહી આવે તો કોર્ટમાં જવાની ચીમકી પણ આપી છે.આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યુ હતુ કે હજૂ તેમના સુધી આવી કોઈ રજૂઆત આવી નથી. રજૂઆત આવે એટલે તપાસ કરાવીશુ.


