પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યાના આરોપસર પકડાયેલા આતંકી સંગઠન અલ કાયેદાના આગેવાન અહમદ ઉમર સઇદ શેખ તથા તેના અન્ય ત્રણ સાથીઓને છોડવાનો આદેશ કરાચી સ્થિત સિંધ વડી અદાલતે રદ કર્યો હતો.અગાઉ સિંધ હાઈકોર્ટે એ ચાર આરોપીઓને ‘પુરાવાના અભાવે’ છોડવાનો આદેશ આપ્યો હતો. એ આદેશનો અમલ જેલ સત્તાવાળાઓએ શનિવારે કરવાનો હતો,પરંતુ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના આદેશના અનુસંધાનમાં સિંધ હાઈ કોર્ટે અગાઉના હુકમમાં સુધારો કર્યો હતો.
સિંધની વડી અદાલતે અહમદ ઉમર સઇદ શેખ તથા અન્ય ત્રણ જણની અટકાયત સંબંધી સિંધ સરકારના તમામ નોટિફિકેશન્સને ‘રદબાતલ’ ગણાવતાં એ ચાર આરોપીઓને અટકાયતમાં નહીં રાખવાનો આદેશ આપ્યો હતો.સિંધ હાઈ કોર્ટે ઉક્ત ચાર આરોપીઓની અટકાયત ગેરકાયદે હોવાનું પણ જણાવ્યું હતું. હાઈ કોર્ટે શનિવારે એવી સ્પષ્ટતા કરી હતી કે ૨૮ સપ્ટેમ્બરના સર્વોચ્ચ અદાલતના હુકમ અનુસાર આરોપીઓને જેલમાંથી છોડવા નહીં.સિંધ હાઈ કોર્ટે ગયા એપ્રિલ મહિનામાં એ ચાર આરોપીઓને છોડવાનો હુકમ કર્યો હતો,પરંતુ તેની સામે સિંધ સરકાર અને પત્રકાર ડેનિયલ પર્લના પરિવારની અપીલની સુનાવણીમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે અપીલની આગામી સુનાવણીની તારીખ સુધી ચાર આરોપીઓને મુક્ત કરવાના નથી.


