– વહીવટી મંજૂરી મળી ગઈ,ટેન્ડરો પણ આવી ગયા,હવે ગાંધીનગરથી ટેન્ડર મંજૂર થયા બાદ કામ શરૂ થશે
નવસારી : નવસારીનો રેલવે ફ્લાય ઓવરને તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ છે.ટેન્ડર નીકળી,ટેન્ડરો આવી પણ ગયા છે અને ગાંધીનગરમાં ટેન્ડર મંજુર થાય એટલે 20-30 દિવસમાં કામ પણ શરૂ થઈ શકે છે.નવસારીના રેલવે ફ્લાય ઓવર માટે 8-10 વર્ષ દરમિયાન ત્રણથી ચાર ડિઝાઇન ઉપર વિચારણા કરાઈ હતી. ફ્લાય ઓવરની ડિઝાઇન મુદ્દે જ ગજગ્રાહ સર્જાયો રહ્યો હતો અને વિલંબ પણ થયો હતો.આખરે ફ્લાય ઓવરની ડિઝાઇન ફાઇનલ થઈ હતી.
જે મુજબ ફ્લાય ઓવર નટરાજ ટોકિઝથી શરૂ થઈ પ્રકાશ ટોકિઝ થઈ ઉત્તરે દક્ષિણ પૂર્ણા બ્રિજ 15 મીટર પહેલા વણાંક લઈ રેલવે લાઇન ઉપરથી બંદર રોડ જશે, જ્યાંથી ગાયત્રી મંદિર થઈ દક્ષિણે જલાલપોર પોલીસ ચોકી બ્રિજ ઉતરશે.અંદાજે 93 કરોડના ખર્ચે બનનાર આ કુલ 1300 મીટર લંબાઈનો ફ્લાય ઓવરમાં પહોળાઈ આમ તો 12 મીટર હશે પણ વાહનનોની અવરજવર માટે 11 મીટર વપરાશ કરી શકાશે. ડીએફસીસીની રેલવે કોરોડોરની યોજના અંતર્ગત આ ફ્લાય ઓવરો પણ બની રહ્યા છે.
નવસારી રેલવે ફાટક
સરકારી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ રેલવે ફ્લાય ઓવરને વહીવટી મંજૂરી બાદ મહત્વની એવી તાંત્રિક મંજૂરી પણ મળી ગયા બાદ ટેન્ડરો કામ માટે કઢાયા હતા, જેમાં ટેન્ડર આવી પણ ગયા છે અને તે ટેન્ડર ગાંધીનગર મંજુર થયા બાદ ફ્લાય ઓવરનું કામ શરૂ થઈ જશે.આશરે 20થી 30 દિવસમાં કામ શરૂ થવાની શકયતા જોવાઇ રહી છે.
વિજલપોર ફ્લાય ઓવરનું પણ ખાતમુર્હૂત થશે
જ્યાં નવસારી ફ્લાય ઓવર મંજુર થઈ ટેન્ડર પણ આવી ગયા છે ત્યાં નજીકમાં વિજલપોર રેલવે ફાટક ઉપર બનનાર ફ્લાય ઓવરને તો ક્યારની મંજૂરી મળી ગઈ હતી.ટેન્ડર મંજુર થઈ પાર્ટીને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે અને નજીકના દિવસોમાં ખાતમુર્હૂત થશે. આ ફ્લાય ઓવર પશ્ચિમે શંખેશ્વર કોમ્પ્લેક્સથી પૂર્વે વિજય કોલોની 950 મીટર લંબાઈનો અંદાજે 39 કરોડથી વધુના ખર્ચે બનશે.અહીં જમીન સંપાદનની કામગીરી પણ ચાલી રહી છે.
રિંગ રોડ સાથે જોડવા પ્રોવિઝન
રેલવે ફ્લાય ઓવરમાં રિંગ રોડ સંદર્ભે પણ ડિઝાઇનમાં પ્રોવિઝન રાખવામાં આવ્યું છે.ભવિષ્યમાં ફ્લાય ઓવરને રિંગ રોડ સાથે કનેક્ટ કરવો હોય તે માટે મુશ્કેલી પડશે નહિ.હાલ જોડવામાં આવ્યો નથી
નીચે સર્વિસ રોડ પણ બનાવાશે
ફ્લાય ઓવર તો ઉંચાઈએ બનશે પણ નીચેની જગ્યાનો પણ લોકો ઉપયોગ કરી શકે તે માટે સર્વિસ રોડ પણ બનશે ,જેથી વાહનચાલકો નીચેની જગ્યાએ પણ અવરજવર કરી શકશે.
રેલવે અંડર બ્રિજની ઉપયોગીતા જારી રહેશે
હાલ રેલવે અંડર બ્રિજ (ગરનાળુ)નો ઉપયોગ ફાટક બંધ હોવાની સ્થિતિમાં વાહનચાલકો વધુ કરે છે,જે ભવિષ્યમાં ફ્લાય ઓવર બને તો પણ ઉપયોગીતા રહેશે જ કારણકે અંડર બ્રિજ ખુલ્લો જ રહેશે,જેથી ફ્લાય ઓવરનો મોટો ચકરાવો ખાવા કરતા ગરનાળામાંથી પસાર થવાનું વધુ પસંદ કરાશે.જોકે મોટા વાહનો માટે ફ્લાય ઓવર ઉપયોગી બનશે.

