પાછલા અઠવાડિયા દરમિયાન સુરત આવેલા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કૈટ)ના નેશનલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે ચેમ્બર ઓફ કોમર્સમાં વેપારી વર્ગ સાથે કરેલી મિટીંગમાં કેન્દ્રીય નાણામંત્રીને જીએસટી સરળીકરણ માટે રજૂઆત કરી હતી.જેને પગલે જીએસટીના નવા ઉમેરાયેલા નિયમોને હાલ પૂરતા પડતાં મુકવાની સાથો-સાથ જીએસટી અને આઈટી રિટર્ન ભરવાની તા.31મી માર્ચ સુધી લંબાવવા માંગ કરવામાં આવી છે.
આ અંગે કૈટ ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગત જણાવે છે કે, હાલ થોડા દિવસો પૂર્વે જ સરકાર દ્વારા જીએસટી કાયદાની કલમ 86(બી) ઉમેરવામાં આવી છે. જેમાં 50 લાખનું ટર્નઓવર ધરાવનારે સીધું 1 ટકા જ સરકારને ચૂકવણું કરવાનું રહેશે.જેના પર ક્રેડિટની જોગવાઈ પણ રહેશે નહીં.વધુમાં,જીએસટી અધિકારી વેપારીની જાણ વગર જ તેનો જીએસટી નંબર રદ્દ કરી શકશે.
જેમાં તેને શો-કોઝ નોટીસનું મળનારું પ્રાવધાન પણ હટાવી લેવાયું છે.આ નવા ઉમેરાયેલા જીએસટી કાયદાના કારણે વેપારી વર્ગને નુકશાન થશે.જેને પગલે કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને નેશનલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામનને નવા કાયદા હાલ પડતાં અમલમાં નહીં મુકવા રજૂઆત કરી છે.વધુમાં,ચાલુ વર્ષે કોરોનાના કારણે વેપારી વર્ગની આર્થિક સ્થિતિ કથળી છે.