– ત્રણેય ગામના અગ્રણીઓની વહીવટદાર અને ધારાસભ્યને રજૂઆત
– નવસારી- વિજલપોર નગરપાલિકામાં સમવિષ્ટ ત્રણ ગામ કબીલપોર,ચોવીસી અને કાલીયાવાડીના અગ્રણીઓ દ્વારા પાલિકાનાં વેરા વધારાનો વિરોધ કરીને વહીવટદાર અને ધારસભ્યને લેખિતમાં રજૂઆત કરી વેરા ઓછા કરવા જણાવ્યું હતું.
નવસારી : નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જાહેરનામુ બહાર પાડીને નવા સમાવિષ્ટ ગામોમાં ગટર,પાણી અને સફાઈ,બત્તી વેરાની સૂચિ આપવામાં આવી છે.જેમાં નવા 8 ગામને પણ આ સૂચિત વેરા લાગુ પડશે તેવી જાહેરાત કરતા આ બાબતે નગરપાલિકામાં સમાવિષ્ટ ૩ ગામ કબીલપોર,કાલીયાવાડી અને ચોવીસી ગામના અગ્રણીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને વહીવટદાર અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું કે હાલમાં પાલિકાનું હદ વિસ્તરણ થયેલા ગામોના વેરા બાબતે જ્યાં સુધી સુવિધા નહી ત્યાં સુધી વેરામાં વધારો નહી,જેમાં પાણીની વ્યવસ્થા મળે ત્યાં સુધી પાણી વેરો નહીં અને ડ્રેનેજનું પંપિંગ સ્ટેશન સાથે ગટરોનું જોડાણ ન આપવામાં આવે ત્યાં સુધી વેરામાં વધારો ન થાય,મકાનના ઘસારાની ગણતરી કરી તેમજ એરિયા મુજબ આકારણી થવી જોઈએ, સફાઈ વેરો વધુ છે. હાલમાં રૂ. 3 ચો.મી.ના જણાવ્યા છે, જે રૂ. 1 કરવા તેમજ હાલમાં નગરપાલિકામાં વહીવટદાર તરીકે સરકારનાં પ્રતિનિધિ છો ત્યારે ચૂંટાયેલી નવી બોડી દ્વારા નિર્ણય કરવામાં આવે એવો અનુરોધ કરાયો હતો. જયાં ગામોમાં હદ વિસ્તરણ કર્યું છે ત્યાં સુવિધા પ્રમાણે જ આકારણી થાય અને ગટર-પાણીની સુવિધા માટે વેરાનો દર ચૂંટાયેલી પાંખ કરે તેવી અપીલ કરી હતી.
પહેલા પ્રાથમિક સુવિધા આપો પછી વેરો વધારો
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા નવા વેરાનો દર નક્કી કર્યો તે યોગ્ય નથી.જેનો અમારા વિસ્તારનાં ત્રણ ગામના લોકોએ વિરોધ કર્યો છે અને જેની જાણ નવસારી ધારાસભ્યને પણ કરી છે.નગરપાલિકાનો ગટર અને પાણીનો વેરો ભરવા તૈયાર છે.પહેલા સુવિધા આપો.ગટરની સુવિધા ચોવીસી,કબીલપોરમાં નથી ત્યારે તેનો વેરો કેમ લેવાય ? પહેલા સુવિધા આપો ત્યારબાદ વેરો નક્કી કરો તેવો અમારા ત્રણ ગામોનાં અગ્રણીઓએ લેખિતમાં વાંધો આપ્યો છે. – ઉમેશભાઈ પટેલ, પૂર્વ ઉપ સરપંચ, ચોવીસી


