પટણા : કોરોના વાયરસ રસીને દેશમાં મંજૂરી મળ્યા બાદ તેના પર રાજકારણ ગરમાયું છે.હવે કોંગ્રેસના નેતા અજીત શર્માએ એક નવો વિવાદ છેડ્યો છે.બિહાર કોંગ્રેસ વિધાયક દળના નેતા અજીત શર્માએ કહ્યું કે લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા રસી મૂકાવવી જોઈએ.આ અગાઉ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે તેમને ભાજપની રસી પર ભરોસો નથી.તેઓ દેશમાં તૈયાર થઈ રહેલી કોરોના રસી મૂકાવશે નહીં.
Russia-US નું આપ્યું ઉદાહરણ
બિહાર કોંગ્રેસના નેતા અજીત શર્માએ રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિઓનો હવાલો આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓએ પહેલા પોતે રસી મૂકાવવી જોઈએ.જેથી કરીને લોકોમાં કોરોના રસીને લઈને વિશ્વાસ પેદા થાય.તેમણે કહ્યું કે તમે રશિયા કે પછી અમેરિકાના રાષ્ટ્રપતિને જોઈ લો. બંનેએ સૌથી પહેલા રસી મૂકાવી.આવું જ આપણા પ્રધાનમંત્રીએ પણ કરવું જોઈએ.જેનાથી લોકોમાં રસી અંગે વિશ્વાસ વધશે.
કોંગ્રેસને પણ મળે ક્રેડિટ
શર્માએ કહ્યું કે અમને નવા વર્ષે રસી મળી તેની ખુશી છે,પરંતુ લોકોના મનમાં તેના અંગે કેટલીક આશંકાઓ છે જેને દૂર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ આગળ આવવું જોઈએ.કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે ભાજપ રસીની ક્રેડિટ પોતે લેવા માંગે છે.તેમણે કહ્યું કે જે બે કંપનીઓ ( સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક)એ કોરોના રસી તૈયાર કરી છે તેમને કોંગ્રેસના સમયમાં સ્થાપિત કરવામાં આવી હતી.
વેક્સિન પર રાજનીતિ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- આ ખુબ અપમાનજક
અખિલેશે શરૂ કર્યું રાજકારણ
કોરોના સંકટ વચ્ચે રસીને મંજૂરી મળી એ દેશ માટે ખુશીની વાત છે. પરંતુ રાજકીય પક્ષ તેમના ઉપર પણ રાજકારણ કરવાથી અટકતા નથી. એક પ્રકારે રાજકારણ રમવાની શરૂઆત સપા પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરી. તેમણે શનિવારે કહ્યું કે હાલ હું રસી મૂકાવતો નથી. હું ભાજપની રસી પર કેવી રીતે ભરોસો કરું? જ્યારે રાજ્યમાં અમારી સરકાર બનશે તો બધાને મફતમાં રસી મૂકવામાં આવશે. પરંતુ હાલ તો અમે ભાજપની રસી મૂકાવી શકીએ નહીં.