– માંડવી અને માંગરોળ તાલુકાના કુલ 89 ગામોના 49500 એકર વિસ્તારને સિંચાઈનો લાભ થશે
= માંડવી અને માંગરોળ તાલુકાના 29000 આદિજાતિ ખેડૂત પરિવારોમાં સમૃદ્ધિનો સૂરજ ઉગશે
સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે કુલ 570 કરોડના ખર્ચે સાકાર થયેલી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેની ‘કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજના’નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હસ્તે લોકાર્પણ કરાયું છે.એ સાથે જ માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંચાઇ સુવિધાનો નવો આયામ રચાશે.સુરત જિલ્લાના માંડવી તાલુકાના 61 ગામોના 20525 એકર તથા માંગરોળ તાલુકાના 28 ગામોના 28975 એકર વિસ્તાર મળી કુલ 89 ગામોના કુલ 49500 એકર વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થતાં 29000 આદિજાતિ ખેડૂત પરિવારોને લાભ થશે. 3 મધ્યમ ડેમ, 2 મોટા તળાવો, 6 કોતરો અને 30 ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. જેથી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધાથી કિસાન સમૃદ્ધિનો સૂરજ ઉગશે.
ખાતમુહુર્ત અને લોકાર્પણ આ જ સરકાર દ્વારા
રૂપાણીએ સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી 570 કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ અવસરે સ્પષ્ટ પણે કહ્યું કે,જે વિકાસકામોનુ ખાતમુહુર્ત ભાજપાની સરકાર કરે છે,તેના લોકાર્પણ પણ આ જ સરકાર દ્વારા કરીને સમય બદ્ધ આયોજન અને કાર્ય પધ્ધતિ ઊભી કરવામા આવી છે.કોંગ્રેસના શાસનમા યોજનાઓ અણઘડ આયોજનથી બનતી. ખાતમુહૂર્ત થાય પછી વર્ષો સુધી કામ જ શરૂ ના થાય અને યોજનાનું બજેટ હોય તેના કરતા અનેક ગણું વધી જાય તેમ તેમણે ભૂતકાળની તુલના કરતા જણાવ્યું હતું. પ્રજાકલ્યાણના કામો કરવાની તક વર્તમાન સરકારને મળી છે તે બદલ ઈશ્વરનો પણ તેમને આભાર વ્યકત કર્યો હતો.
ભૂતકાળના શાસન કરનારાઓએ આ રાજ્યનું ખુબ નુકશાન કર્યું
ધોધમાર વરસાદ પડતો હોવા છતાં સુચારુ આયોજનના અભાવે આ આદિજાતિ વિસ્તારમા પાણીની અછત લોકો ભોગવતા રહેલા તે માટે તેમણે કોંગ્રેસના શાસનને આડે હાથ લેતા કહ્યું કે, ભૂતકાળના શાસન કરનારાઓએ આ રાજ્યનું ખુબ નુકશાન કર્યું છે. વિકાસનો આધાર પાણી જ છે ત્યારે આસમાની ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતોના કલ્યાણ માટે ક્યારેય ચિંતા નહિ કરનાર ભૂતકાળની સરકારોએ ખેડૂતોનુ અહિત કરવામાં કઈ જ બાકી નથી રાખ્યું તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવાના પગલા લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટી અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની દૃઢ ઈચ્છાશક્તિને કારણે સૌના સાથ-સૌના વિકાસની નેમ સાથે કાર્ય કરી રહેલી રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવાના લીધેલા પગલાઓનો ખ્યાલ આપી મુખ્યમંત્રીએ ભૂતકાળની સરકારમા માંડ 500-700 કરોડનું વાર્ષિક બજેટ તૈયાર કરાતું, જયારે આજે હજારો કરોડના બજેટ આયોજન સાથે એક જ દિવસમાં 570 કરોડ રૂપિયાની યોજના સાકાર થઇ રહી છે તેમ જણાવ્યું હતું.
રાજ્યમાંથી વચેટિયા પ્રથાને ધરમૂળથી નાબુદ કરી
આદિવાસી પ્રજાજનો,ખેડૂતો માટે રાતદિવસ ચિંતા કરીને કાર્ય કરી રહેલી રાજ્ય સરકારે નાણાકીય સ્ત્રોત ઉપલબ્ધ કરીને પારદર્શક રીતે પ્રજાકલ્યાણના કામોમા તેનો સદુપયોગ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.ત્યારે રાજ્યમાંથી વચેટિયા પ્રથાને ધરમૂળથી નાબુદ કરતા વડાપ્રધાન મોદીના “ખાતો નથી, અને ખાવા પણ દેતો નથી” તથા કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીનું એ ઐતિહાસિક સ્ટેટમેન્ટ “દિલ્હીથી એક રૂપિયો મોકલાવામા આવે,અને પ્રજા સુધી માત્ર પંદર પૈસા જ પહોંચે” તે આ બંને સરકારની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપે છે તેમ જણાવ્યું હતું.
2022 સુધી દેશના ઘરે ઘર સુધી “નળ સે જળ”
ખેડૂત સુખી,તો ગામડુ સુખી અને ગામડુ સુખી તો રાજ્ય તથા દેશ સુખી એમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નેવના પાણી મોભે ચઢાવતા અશક્ય એવી આ યોજનાને દ્રઢ ઈચ્છાશક્તિ અને ઈજનેરી કૌશલ્યના ઉત્તમ પરિણામ સ્વરૂપ સાકાર કરવામા આવી છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીના સ્વપ્ન અનુસાર ઘરે ઘર સુધી શૌચાલય,ગેસ અને વીજ જોડાણ,બેંક એકાઉન્ટ સહીત 2022 સુધી દેશના ઘરે ઘર સુધી “નળ સે જળ” મળે તે માટેનુ અભિયાન આદરવામાં આવ્યું છે તેમ જણાવી રૂપાણીએ “કોરોના” સંક્રમણ વચ્ચે પણ આપણે અવિરતપણે વિકાસકામો આગળ વધારીને અંદાજીત રૂ.25 હજાર કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણનો કરીને વિકાસની ગતિને તેજ કરી છે તેમ જણાવ્યું હતું.
કોરોના વેક્સિનેસન માં સૌના સહભાગી થવા આહવાન
સૌર અને પવન ઉર્જા જેવા વૈશ્વિક પાર્ક, દરિયાના ખારા પાણીને મીઠા કરવાનુ અભિયાન,ભારતનો સૌથી ઉંચો રોપ વે,ભારતનુ સૌ પ્રથમ સી પ્લેન,કિસાન સૂર્યોદય યોજના સહીત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ,કેવડીયા-બરોડા રેલ લાઈન,કોરોના વેક્સિનેસન જેવા કાર્યોમા સૌને સહભાગી થવા સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ ડીજીટલ માધ્યમથી આ યોજનાનું ઈ લોકાર્પણ કરી, માંડવી-માંગરોળ તાલુકાના પ્રજાજનો, ખેડૂતોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા હતા.
વર્ષ 2017માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ્દ હસ્તે થયું હતું
દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યનું અનોખું ઉદાહરણરૂપ આ યોજનામાં કુલ 32 કિલોમીટરની લંબાઇમાં માઇલ્ડ સ્ટીલની પાઇપલાઇન નાંખવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઇ તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ ઉકાઇ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઇ યોજનાઓની નહેરો હોવા છતાં આ ગામો સિંચાઇ સુવિધાથી વંચિત રહ્યાં હતાં.આ સમસ્યાના નિવારણ માટે આદિજાતિ વિસ્તારમાં જળસંગ્રહ તથા સિંચાઇ સુવિધાઓ ઉભી કરવા માટે સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે ઉકાઇ-કાકરાપાર જળાશય આધારિત કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ખેડૂતલક્ષી આયોજન હાથ ધર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્દ હસ્તે થયું હતું.
આદિજાતિ વિસ્તારના ગામોમાં સિંચાઇ માટે પહોંચાડવામાં આવ્યું
ડુંગરાળ પ્રદેશમાં આ યોજનાનું બાંધકામ હોવા છતાં ભૌગોલિક પડકારોનો સામનો કરી તથા કોરોના જેવી મહામારીમાં પણ કામ અવિરતપણે જારી રાખી યોજના સાકાર કરવામાં આવી છે.આ યોજનામાં કાકરાપાર વિયર ખાતે પ્રથમ પમ્પીંગ સ્ટેશન તથા ગોરધા વિયર પાસે બીજું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.આ યોજનામાં કાકરાપાર વિયર પાસે બનાવેલ પ્રથમ પમ્પીંગ સ્ટેશનથી 500 ક્યુસેક્સ પાણી ઉપાડી 10 ફૂટ વ્યાસની એટલે કે ઘરના એક માળની ઉંચાઇ જેટલા વ્યાસની પાઇપલાઇનથી ગોરધા વીયર અને ગોરધા વિયર પાસે બનાવેલ બીજા પમ્પીંગ સ્ટેશનથી આ જ પાણી કુલ 368 ફૂટ જેટલી એટલે કે 37 માળના મકાન જેટલી ઉંચાઇમાં લિફ્ટ કરી માંગરોળ તાલુકાના વડગામ સુધીના આદિજાતિ વિસ્તારના ગામોમાં સિંચાઇ માટે પહોંચાડવામાં આવ્યું છે.
6 કોતરોમાં પાણી નાખી 30 ચેકડેમ ભરાશે
ઉકાઇ જળાશયમાં દર વર્ષે વિપુલ જથ્થામાં પાણી આવે છે.જેથી આ યોજના મારફત માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇથી વંચિત વિસ્તારોમાં પુરતા જથ્થામાં સિંચાઇ માટે પાણી આપી શકાશે.યોજનામાં પાઇપલાઇનની નજીક આવતા 6 કોતરોમાં પાણી નાખી 30 ચેકડેમ ભરાશે.માંડવી તાલુકાના સઠવાવ તથા માંગરોળ તાલુકાના પાતાલદેવી ગામના મોટા તળાવો ભરાશે.ત્રણ મધ્યમ ડેમ ગોરધા વીયર,લાખીગામ ડેમ અને ઇસર ડેમ પણ આજ જળથી ભરવામાં આવશે.


