આજે સ્વામી વિવેકાનંદની 158મી જન્મજયંતી છે.યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 4 માસ અતિથિ બન્યા હતા.ભોજેશ્વર બંગલામાં આજે પણ તેની યાદગીરી જોવા મળે છે.યુવાઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદ ભારતભરમાં ચારેય ખૂણામાં 5 વર્ષ સુધી પ્રવાસ ખેડયો હતો.તેમણે લોકોનાં દુઃખ અને ગરીબી માટે સહાનુભૂતિ કેળવી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સંકલ્પ કર્યો હતો.સ્વામી વિવેકાનંદે મોટા ભાગનો પ્રવાસ પગપાળા કર્યો હતો અને પ્રવાસ દરમિયાન તેમના શુભેચ્છકો આપેલી રેલવે-ટિકિટ પર પ્રવાસ કર્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે તેમણે ગુજરાતમાં જૂનાગઢ,ગિરનાર,કચ્છ,પોરબંદર,દ્વારકા, પાલિતાણા,વડોદરાની મુલાકાત લીધી હતી,જેમાં કોઈ ગામ કે જગ્યા પર 3 કે 4 દિવસ જ રહેવાની પ્રતિજ્ઞા છતાં એકમાત્ર પોરબંદરમાં તેઓ 4 માસ રહ્યા હતા.વર્ષ 1891 -92 મા પોરબંદરના ભોજેશ્વર બંગલા ખાતે વિવેકાનંદજી શંકર પાંડુરંગ પંડિતના અતિથિ બન્યા હતા.આ પંડિતજી એડમિનિસ્ટ્રેટર હતા અને ભોજેશ્વર બંગલા ખાતે વિવેકાનંદ 4 માસ રહ્યા હતા અને ત્યાંથી શહેરના મંદિર સહિતના સ્થળોની મુલાકાત પણ લીધી હતી.આજે પણ આ સ્થળે સ્વામીજીના ઓરડા ખાતે પરમ શાંતિનો અનુભવ થાય છે.આ ઓરડામાં સ્વામી વિવેકાનંદની યાદગીરીઓ છે.
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ 4 માસ સુધી રહ્યા તે દરમ્યાન તા. 1/1/1891ના રોજ પોરબંદરમાં આવેલ ગોપાલલાલજીની હવેલીની મુલાકાત લીધી હતી અને તે સમયે તે જે પાટ પર બેઠા હતા તે પાટ પણ બાદમાં હવેલી ખાતેથી આ ઓરડામાં લાવવામાં આવી હતી જે આજે પણ મોજુદ છે.
અહીં સ્વામીજીએ ફ્રેંચ ભાષા શીખી
એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ વિદ્વાન હતા અને 14 ભાષાના જાણકાર હતા.પોરબંદરના ભોજેશ્વર બંગલા ખાતે વિવેકાનંદજી અતિથિ બન્યા હતા અને તેમની પાસેથી ફ્રેંચ ભાષા શીખ્યા હતા.અને પાણીની મહાભાસ્યનો અભ્યાસ પણ અહીં કર્યો હતો.