જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આજે મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું હતું કે,તેમને કેબીનેટ મંત્રીનું પદ અને 25 કરોડ રૂપિયાની ઓફર મળી હતી,પરંતુ તેઓ હમેશાં જૂનાગઢના હિતમાં કોંગ્રેસની સાથે જ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,તેઓ રૃખડિયા બ્રાહ્મણ તરીકે જૂનાગઢની સેવા માટે હરહમેશ લડતા આવ્યા છે,જેથી તેમણે કોંગ્રેસના મેન્ડેટ પર ચુંટણી લડીને સેવા કરી રહ્યા છે.તેઓ જૂનાગઢને વફદાર રહ્યા છે,સાથે તેઓ આજે કોંગ્રેસના છે અને રહેશે. 25 વર્ષ પહેલા તેઓ ભાજપમાં હતા ત્યારે કાયદેસરના અધિકાર હેઠળ તેમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા જોઈતા હતા,પરંતુ ભાજપે તેમને પ્રમુખ ન બનાવતા તેઓ નીકળી ગયા હતા.સાથે રાજ્ય સરકાર જૂનાગઢના વિકાસ માટે પુષ્કળ પૈસા આપે છે, પરંતુ અણઘડ વહીવટના લીધે જૂનાગઢની પ્રજાને તેનો લાભ મળતો નથી,આજે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં હોવાથી તેઓ જૂનાગઢના પ્રતિનિધી અને સરકારના એક ભાગ તરીકે હાજરી આપવા માટે આવ્યા હતા.
સાડીના ઉદ્યોગપતિઓના શરણે સરકાર
ધારાસભ્યએ જણાવ્યું કે,જેતપુર ડાઇંગના કેમીકલયુક્ત પાણીના લીધે નદીઓના પાણી આજે લાલ થઈ ગયેલ છે,તેના માટે તેમણે સંકલનમાં રજૂઆત કરી હતી,તેમજ વિસાવદરના પ્રાંત અધિકારીએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવીને ગેરકાયદે ઘાટો તોડી નાખ્યા ત્યારે તેમને બિરદાવવાના બદલે આજે તેની બદલી કરી નાખવામાં આવી છે,તે ગેરવ્યાજબી છે,જેનાથી સ્પષ્ટ થાય છે કે,સરકાર ઉદ્યોગપતિઓના શરણે છે.
રોપ-વે, સિંહ-દર્શન અંગે CMને કાગળ આપ્યો
જૂનાગઢમાં ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ લેખેલો કાગળ તેમણે મુખ્યમંત્રીને આપ્યો હતો,જેમાં તેમણે રજૂઆત કરી હતી કે,રોપ વે ચાલુ થયા બાદ પણ હજુ ગિરનાર પર અનેક અસુવિધાઓ છે,તેમજ ગિરનારમાં સિંહ દર્શન પ્રોજેક્ટ બંધ હોવાથી જૂનાગઢના જીપ્સી માલિકો હાલ આર્થિક રીતે પડી ભાંગ્યા છે,તેના વિશે વિચારવા જેવું છે.