બગદાદમાં એક ભરચક બજારમાં થયેલા બે આત્મઘાતી વિસ્ફોટોમાં 32 લોકો માર્યા ગયા હતા અને 110થી વધુ ઘયવાયા હતા.બગદાદના મધ્યવર્તી વિસ્તારમાં બાબ અલ શરકી તરીકે ઓળખાતા અને વેપાર વાણિજ્યથી ધમધમતા વિસ્તારમાં જ બે સ્યુસાઇડ બોમ્બર દ્વારા આ વિસ્ફોટો સર્જવામાં આવ્યા હતા.જોત જોતામાં સમગ્ર વિસ્તાર પ્રચંડ વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યો હતો. લોકોએ બચાવ માટે ભારે ભાગદોડ મચાવી હતી.લોકોના આક્રંદ અને ચીસોથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું.આ વિસ્ફોટો માટે કોઇ આતંકવાદી સંગઠને તત્કાળ જવાબદારી સ્વીકારી નથી પરંતુ ઇરાકી સૈન્યના દાવા અનુસાર આ વિસ્ફોટો ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ દ્વારા સર્જવામાં આવ્યા હોવાની શંકા છે.ઇરાકના આરોગ્ય પ્રધાન હસન મોહમ્મદ અલ તામિનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટોમાં 32 લોકો માર્યા ગયા છે અને 110થી વધુ ઘાયલ છે.મૃતકોની સંખ્યા હજુ વધવાની ભીતિ છે.અનેક ઘાયલ લોકો બેહદ સિરિયસ છે.ઇરાકી સૈન્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આઇએસનો સફાયો કરવા ચાલેલી કાર્યવાહી પછી આ સંગઠન હજુ પણ પોતાનું અસ્તિત્વ પુરવાર કરવા મથે છે આથી તેના સ્લીપર સેલ દ્વારા આ વિસ્ફોટો કરાયા હોવાની સંભાવના છે. ત્રણ વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં આત્મઘાતી વિસ્ફોટ થયો હતો.બગદાદના આ જ કોમર્શિઅલ વિસ્તારમાં 2018માં પણ સ્યુસાઇડ બોમ્બ એટેક થયો હતો.તે વખતે વડાપ્રધાન હૈદર અલ અબાદીએ ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપ પર વિજયની જાહેરાત કરી તે પછી તરત જ વિસ્ફોટ થયો હતો.
બોમ્બરે પોતે બીમાર હોવાની રડારોળ કરી ટોળું ભેગું કર્યું ને…
આત્મઘાતી બોમ્બરે મહત્તમ ખુવારી માટે એક કીમિયો કરી અનેક લોકોને મોતના મુખમાં બોલાવ્યા હતા.તે એકદમ ભરચક જગ્યાએ પહોંચ્યો હતો અને પોતે બહુ બીમાર છે એવી રડારોળ કરી હતી.આથી સહાનુભૂતિવશ તેની આસપાસ બહુ મોટી સંખ્યામાં લોકો ટોળે વળી ગયાં હતાં.બરાબર મોટું ટોળું જામ્યું તે પછી તેણે પોતાના શરીર પર લગાડેલો વિસ્ફોટકો ભરેલો બેલ્ટ ડિટોનેટ કર્યો હતો. તે પછી તરત જ બીજા સ્યુસાઇડ બોમ્બરે પણ પોતાનો બેલ્ટ ડિટોનેટ કરતાં બંને વિસ્ફોટોમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘવાયા હતા.