મુંબઇ : તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે સોમવારે યસ બેંકના કથિત મની લોન્ડરિંગ કેસમાં મુંબઇ સ્થિત રિયલ્ટી ગ્રૂપના ઓછામાં ઓછા દસ પરિસરોમાં દરોડા પાડ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.સુત્રોના જણાવ્યા મુજબ આજે ઓમકાર રિયલ્ટર્સ અને ડેવલપર્સના પરિસરમાં,જેમાં મુંબઇ સ્થિત 7 મકાનો અને 3 ઓફિસોમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા રિસર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.અલબત્ત રિયલ્ટી ગ્રૂપ દ્વારા આ અંગે કોઇ પ્રત્યુત્તર કે નિવેદન જારી કરવામાં આવ્યુ નથી.
તેઓએ જણાવ્યું હતું કે,મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દરોડાઓનો હેતુ વધારે પુરાવાઓ એક્ત્ર કરવાનો છે.ઓમકાર ગ્રૂપ એ તેના ચેરમેન કમલ કિશોર ગુપ્તા અને મેનેજિંગ ડિરેક્ટર બાબુલાલ વર્મા દ્વારા પ્રમોટેડ છે.
સુત્રોએ જણાવ્યુ કે, ED એ આ ગ્રૂપ પર SRA (સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી) યોજનાઓ હેઠળ આપવામાં આવતી વિવિધ પરવાનગીનો દુરૂપયોગ કર્યો છે અને યેસ બેંક પાસેથી લોન આપીને આશરે 450 કરોડ રૂપિયા ‘ડાયવર્ટ’ કર્યા હોવાનો આક્ષેપ મૂક્યો છે.
ઉલ્લેખનિય છે કે,આ કેસમાં યસ બેન્કના સહ-પ્રમોટર રાણા કપૂર અને ડીએચએફએલના પ્રમોટર્સ કપિલ વાધવાન અને ધીરજ વાધવાનની ગત વર્ષે ઇડી દ્વારા આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.
ઇડીએ સીબીઆઈની એફઆઈઆરનો અભ્યાસ કર્યા બાદ કપૂર, તેના પરિવારના સભ્યો અને અન્ય લોકો વિરુદ્ધ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિયમોનું ઉલ્લંઘન કરીને યસ બેન્ક દ્વારા વિવિધ કંપનીઓને કથિત રીતે કરોડો રૂપિયાની લોન આપવામાં આવી હતી અને તેના બદલામાં રાણા કપૂરને જંગી લાંચરૂશ્વત પણ મળી હતી.

