– મન્દ્રોઈ ગામે પ્રથમ દિવસે માત્ર સ્થળ નિરીક્ષણ જ કરાયું
– એક સાથે જમીન દોસ્ત કરવા મુશ્કેલ હોવાથી ડિમોલીશન અટકાવ્યું
ઓલપાડ : ઓલપાડના મન્દ્રોઈ ગામે આવેલા ગેરકાયદેસર તળાવો ડિમોલીશન કરવાની વાતે અધિકારીઓનો કાફલો બુધવારે પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.જોકે,ટીમે બ્લોક નંબર 408માં થયેલા તળાવો તોડી પાડવાની વાતે માત્ર મોકડ્રીલ કરી પરત ફરી હતી.સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરી ઓલપાડ તાલુકાના મોર,લવાછા,ઓરમા,કાછોલ,હાથીસા,તેના,નેશ,કપાસી,કુદીયાણા,દેલાસા,માંન્દ્રોઈ ગામે મોટા પાયે બિન અધિકૃત જીંગા તળાવો બનાવી ગેરકાયદેસરનું ગુનાહિત કૃત્ય કરનાર સામે સુરત કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવા સાથે ઓલપાડ પ્રાંત,મામલતદાર સહિતની બનાવેલી ટીમને બુધવારે ઓલપાડ મન્દ્રોઈ ગામે ડિમોલીશન કામગીરી સોંપી હતી.ઉપસરપંચના મોટી સંખ્યામાં તળાવ હોવાનું સામે આવ્યું અને તેમણે સ્વિકાર્યું પણ છે.મન્દ્રોઈ ગામના ઉપસરપંચ સુશીલ દિનેશ પટેલના ગેરકાયદે તળાવ હોવા છતાં તંત્રની સાથે સર્વેમાં જોડાયો હતો.
તળાવ તોડવા તંત્ર આવેલું
સવારે 9.30 કલાકે ઓલપાડ પ્રાંત અને મામલતદાર પોલીસના મોટા કાફલા સાથે આવી પહોંચી હતી.સરકારી બ્લોક નંબર 408 કે જેમાં સૌથી વધુ ગેરકાયદેસર જીંગા તળાવો હોય તેનું ડિમોલીશન કરવા પહેલા હાંસોટ તાલુકાનું મંન્દ્રોઈની બાજુનું ઇલાવ ગામ અને બાદ બપોરે 12 વાગ્યે કાફલો મન્દ્રોઈ ગામે આવ્યો હતો.
કામગીરી સ્થગિત કરાઈ
ઓલપાડ પ્રાંત આર.સી.પટેલ અને મામલતદાર અતીરાગ ચાપલોત સાથે DILR અને ફીશરીઝ વિભાગના અધિકારીઓએ બ્લોક નંબર 408 વાળી સરકારી જમીન પર આવી ગેરકાયદેસર બનેલા તળાવોનું નિરીક્ષણ કરતા જ અધિકારીઓની કામગીરીથી ફફડી ઉઠેલા જીંગા તળાવ માફિયાઓ પોલીસ ફરિયાદની બીકે કેટલાક સ્વૈચ્છિક અંશતઃ ડિમોલિશન કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું નોધાયું હતું.જયારે મન્દ્રોઈ ગામે બ્લોક નંબર 166,212,239, 406,408 વાળી સરકારી જમીનમાં 500થી વધુ ગેરકાયદેસર જીંગા તળાવો હોય કામ મુશ્કેલ હોવાથી અધિકારીઓએ મોકડ્રીલ કરી કામગીરી સ્થગિત રાખી હતી.
અધિકારીઓના કાફલા સાથે ફરતા મન્દ્રોઇના ઉપસરપંચના જ 40 ગેરકાયદે તળાવ નીકળ્યા
બુધવારે સવારે ઓલપાડ પ્રાંત અને મામલતદાર સહિતના કાફલાને ગેરકાયદે તળાવો બતાવવા પોતાની કાર લઈને સાથે સાથે ફરેલા મન્દ્રોઈ ગામના ઉપસરપંચ સુશીલ દિનેશ પટેલના પણ ગેરકાયદે તળાવ હોવાની માહિતી મેળવવા દિવ્ય ભાસ્કરે જયારે તેમને પૂછ્યું કે,તમારા પણ 40 જેટલા ગેરકાયદે તળાવો છે,ત્યારે સુશીલ પટેલે કહ્યું,મારા પોતાના 4 તળાવ છે,અને ગામના અન્ય 42 લોકોને સરકારે ફાળવેલા તળાવો પણ મે ભાડા પેટે રાખ્યા છે.ઉલ્લેખનીય છે કે,આ કબૂલાતથી રાજકારણીઓની મીલીભગત છતી થઈ છે.
રેવેન્યુ તલાટી તથા ટીમ બનાવી DILR, ડ્રેનેજ અને મત્સ્યવિભાગને સાથે રાખી સતત ખાતરી ચાલુ રહેશે
સરકારી જમીન પર દબાણ કરનારોને કલમ 61 અન્વયે આપેલ નોટિસની મુદત પુરી થઇ છે. કેટલા ઈસમોએ દબાણ જાતે દૂર કર્યા છે,જે ઈસમોએ જાતે દબાણ દૂર કરેલ નથી તેઓ વિરુદ્ધ મુદત પૂર્ણ થતા ફોજદારી કાર્યવાહી કરવા આજથી જ લેન્ડ ગ્રેબિંગ સમિતિને દરખાસ્ત કરાશે. આ કામગીરી અઠવાડિયામાં કાયમી ધોરણે 2 વાર થશે. રેવેન્યુ તલાટી ટિમ મારફત કાયમી સર્વે માટે ટીમ બનાવી DILR , ડ્રેનેજ અને મત્સ્યઉદ્યોગ વિભાગને સાથે રાખી સતત ખાતરી ચાલુ રહેશે. – આર.સી.પટેલ, ઓલપાડ પ્રાંત